
ભાવનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)મહુવાના હોમગાર્ડ જવાન સંદીપભાઈ દવેનું ભાદરવી પૂનમના દિવસે અકસ્માતમાં કરુણ અવસાન થતાં પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી. ફરજ બજાવતા હોમગાર્ડ જવાનના અકાળે નિધનના સમાચાર મળતા પૂજ્ય મોરારિબાપુએ દુઃખ વ્યક્ત કરી પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
સંદીપભાઈ દવેના અવસાન અંગેના સમાચાર પ્રાપ્ત થતાં મોરારિબાપુએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી તેમજ પરિવારને આ દુઃખદ ઘડીમાં હિંમત મળે તેવી પ્રાર્થના કરી હતી.
મોરારિબાપુ દ્વારા શ્રી ચિત્રકૂટ ધામ, તલગાજરડા ખાતે સ્વ. સંદીપભાઈ દવેની બે દીકરીઓને રૂ. ૫૧ હજારની સહાય રાશિ અર્પણ કરવામાં આવી હતી. આ સહાય પરિવારની આર્થિક મુશ્કેલીમાં થોડી રાહતરૂપ બને તેવા માનવતાભર્યા ભાવ સાથે આપવામાં આવી હતી.
આ સમગ્ર સેવાકીય કાર્યમાં અતુલભાઈ ચિતલીયાની માનવતાભરી સેવા અને સહયોગ રહ્યો હતો. આ પ્રસંગે હોમગાર્ડ કમાન્ડર ખાંમભલિયા, ઉપકમાન્ડર તેમજ સ્વ. સંદીપભાઈ દવેના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
મોરારિબાપુએ પરિવારજનોને દિલસોજી પાઠવી દુઃખની આ ઘડીમાં પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી હતી. દિવંગત સંદીપભાઈ દવેના નિર્વાણ માટે પ્રાર્થના કરી તેમના આત્માને શાંતિ મળે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. મોરારિબાપુ દ્વારા કરવામાં આવેલી આ સહાય અને સંવેદનાથી પરિવારજનોને સાંત્વના મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA