
ભાવનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરી છે. તાલુકાના ઠળિયા, જાલવદર, સાંગાણા, કામળોલ સહિતના ગામોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે અને વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.
લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદ થતાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેતીલાયક વરસાદના અભાવે ચિંતા અનુભવી રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. ખેતરોમાં ઉભા પાકને પાણી મળતાં પાકને નવી જિંદગી મળવાની આશા ખેડૂતોમાં જાગી છે.
તળાજા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત સાથે રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને પગલે ગામડાઓમાં લોકો ઘરની બહાર નીકળી વરસાદી માહોલનો આનંદ માણતા જોવા મળ્યા હતા.
ખેડૂતોના જણાવ્યા મુજબ, ખેતી માટે સમયસર અને પૂરતા વરસાદની ખાસ જરૂરિયાત છે. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ વધશે અને આગામી દિવસોમાં ખેતીના પાકને ફાયદો થવાની શક્યતા છે. ખાસ કરીને મગફળી, કપાસ સહિતના પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA