
મહેસાણા, 16 સપ્ટેમ્બર (હિ.સ.)
મહેસાણા નજીક રામપુરા ગામના હાઇવે પર પ્રકૃતિના સાનિધ્યમાં આવેલું ભીમનાથ મહાદેવ મંદિર આશરે અઢીસોથી 300 વર્ષ જૂનું હોવાનું ગ્રામજનો જણાવે છે. વર્ષો જૂના આ મંદિર સાથે ગોગા મહારાજનું મંદિર પણ આવેલું છે. ગામના વડીલો મુજબ, બાપદાદાના સમયથી શિવલિંગ માટે પાંચ વીઘા જમીન ફાળવવામાં આવી હતી અને ત્યારથી અહીં શિવ આરાધનાની પરંપરા જળવાઈ રહી છે.
રામપુરાના અંબાલાલભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ, મંદિર સાથે ગોગા મહારાજની આસ્થા પણ જોડાયેલી છે. માન્યતા મુજબ અહીં સૌપ્રથમ નાગદેવતાએ દર્શન આપ્યા બાદ ગોગા મહારાજનું મંદિર બનાવવામાં આવ્યું હતું. સમય જતાં ભીમનાથ મહાદેવ મંદિર પણ આસ્થાનું કેન્દ્ર બન્યું.
શ્રાવણ મહિનામાં દર સોમવારે રામપુરા ઉપરાંત દેવરાસણ, લાખવડ, રૂપાલ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. સોમવારે મંદિર પરિસરમાં મેળા જેવું વાતાવરણ સર્જાય છે. દર વર્ષે હવનનું આયોજન પણ કરવામાં આવે છે.
મંદિરની વર્ષ 2008માં પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરનો વિકાસ અને જાળવણી ગ્રામજનોના સહયોગથી થાય છે. પરિસરમાં બાળકો માટે ગાર્ડન ઉપરાંત 100થી વધુ બીલીના વૃક્ષો સહિત વિવિધ વૃક્ષો હોવાથી હરિયાળું વાતાવરણ જોવા મળે છે. હાઇવે પર મંદિર હોવાથી પસાર થતા લોકો પણ દર્શન માટે રોકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR