
-એમ્સ રાયપુરના ત્રીજા દીક્ષાંત સમારોહમાં મેધાવી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા
રાયપુર, નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનએ, રાયપુરમાં આવેલા અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના ત્રીજા દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા જણાવ્યું કે, છત્તીસગઢ નક્સલવાદ, ભય અને અભાવના પડછાયામાંથી બહાર નીકળીને આજે શાંતિ, પ્રગતિ અને તકોના નવા યુગમાં પ્રવેશ કરી ચૂક્યું છે. જે વિસ્તારો ક્યારેક હિંસા માટે જાણીતા હતા, ત્યાં આજે રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલો, કનેક્ટિવિટી અને રોકાણ પહોંચી રહ્યા છે.
ઉપરાષ્ટ્રપતિએ એમ્સ રાયપુરને રાજ્યમાં આરોગ્ય સેવાઓના ઐતિહાસિક પરિવર્તનનું મુખ્ય પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું કે અદ્યતન આરોગ્ય સંભાળ, તબીબી સંશોધન અને ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં સંસ્થાની સિદ્ધિઓ પ્રશંસનીય છે, જેમાં રાજ્યનું પ્રથમ 'સ્વેપ કિડની ટ્રાન્સપ્લાન્ટ' પણ સામેલ છે.
સમારોહ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ વિવિધ વિદ્યાશાખાઓના મેધાવી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ માટે સુવર્ણ ચંદ્રક અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કર્યા. મધ્ય ભારતના આ પ્રતિષ્ઠિત સંસ્થાનમાં આયોજિત સમારોહમાં સ્નાતક (યુજી), અનુસ્નાતક (પીજી), સુપર-સ્પેશિયાલિટી, ડોક્ટરેટ અને સંલગ્ન આરોગ્ય વિજ્ઞાન અભ્યાસક્રમોના કુલ 689 વિદ્યાર્થીઓને (376 વિદ્યાર્થીનીઓ અને 313 વિદ્યાર્થીઓ) ડિગ્રીઓ પ્રદાન કરવામાં આવી.
દીક્ષાંત સમારોહના મુખ્ય આકર્ષણોમાં 'સે નો ટુ ડ્રગ્સ' (નશાને ના કહો)ની શપથ પણ સામેલ હતી, જેના હેઠળ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને પોતે નશીલા પદાર્થોના સેવનથી દૂર રહેવા અને પોતાના સાથીઓ તથા સમાજમાં તેની આડઅસરો અને જોખમો પ્રત્યે વ્યાપક જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો.
આ અવસરે છત્તીસગઢના રાજ્યપાલ રમેન ડેકા, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ, રાજ્યના આરોગ્ય મંત્રી શ્યામ બિહારી જયસ્વાલ અને રાયપુરના સાંસદ બ્રિજમોહન અગ્રવાલ ઉપસ્થિત રહ્યા. જ્યારે, એમ્સ રાયપુર તરફથી અધ્યક્ષ પ્રો. (ડો.) સંજીવ હાંડા તથા કાર્યકારી નિર્દેશક નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અશોક જિંદલ પણ મંચ પર હાજર રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ