
અમરેલી,03 સપ્ટેમ્બર (હિ.સ.)
સાવરકુંડલા તાલુકાના થોરડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અનિયમિત વીજ પુરવઠા સહિતના વિવિધ પ્રશ્નોને લઈને સ્થાનિકો અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીજ પુરવઠામાં વારંવાર ખોરવાટ, અપૂરતો વીજ પ્રવાહ અને સમયસર વીજળી ન મળવાના કારણે સ્થાનિકોને તેમજ ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વિવિધ સમસ્યાઓને લઈને સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનોએ વીજ કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં થોરડી વિસ્તારમાં વીજ પુરવઠો નિયમિત અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
ખાસ કરીને ખેતી આધારિત વિસ્તારમાં વીજળીની અનિયમિતતાના કારણે ખેડૂતોને સિંચાઈ સહિતની કામગીરીમાં મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. વીજળીના વારંવાર જતા રહેવાના કારણે ઘરવપરાશના ગ્રાહકોને પણ પરેશાની ભોગવવી પડે છે.
સ્થાનિકોએ વીજ વિભાગના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી સમસ્યાનું વહેલી તકે કાયમી નિરાકરણ લાવવા માંગ કરી હતી. સાથે જ વીજ લાઈનો અને અન્ય સાધનોની જરૂરી તપાસ કરી ખામીઓ દૂર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. હવે વીજ વિભાગ દ્વારા આ રજૂઆત અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર ગ્રામજનોની નજર રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai