
ગાંધીનગર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાજ અને વ્યક્તિ ઘડતરમાં શિક્ષકોના અમૂલ્ય યોગદાનનું ઋણ સ્વીકારીને પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો અર્પણ કરી ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
શિક્ષક કલ્યાણ નિધિમાં સ્વૈચ્છિક ફાળો એકત્રિત કરવા માટે ગાંધીનગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષક દિને સવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
આજીવન શિક્ષક અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 5 સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. વ્યક્તિના ઘડતરથી લઈને સમાજના નિર્માણ સુધી શિક્ષકોના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવવા આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં સ્વૈચ્છિક યોગદાન આપવાની પરંપરા છે.મુખ્યમંત્રીએ પણ આ પરંપરાને અનુસરી શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કરી ગુરુજનો પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે ફાળો લેવા આવેલા શાળાના બાળકો સાથે સહજ સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી, જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિ, પ્રાથમિક શિક્ષણાધિકારી પિયુષ પટેલ અન્ય અધિકારીઓ તેમજ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ