નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બિહારના
મધુબનીમાં એક જાહેર સભા દરમિયાન કહ્યું હતું કે,” પહેલગામ હુમલામાં સામેલ
આતંકવાદીઓ અને કાવતરાખોરોને, તેમની કલ્પના બહારની સજા આપવામાં આવશે.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે,” 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં
આતંકવાદીઓએ, નિર્દોષ દેશવાસીઓની જે ક્રૂરતાથી હત્યા કરી તેનાથી સમગ્ર રાષ્ટ્ર
દુઃખી છે. સમગ્ર રાષ્ટ્ર તેમના દુઃખમાં, તમામ પીડિત પરિવારોની સાથે ઉભુ છે. સરકાર એ
સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે કે, હાલમાં સારવાર હેઠળ રહેલા
પરિવારના સભ્યો જલ્દી સ્વસ્થ થાય.”
તેમણે કહ્યું કે,” આ હુમલો ફક્ત નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર જ
થયો નથી, દેશના દુશ્મનોએ,
ભારતની આસ્થા પર હુમલો કરવાની હિંમત કરી છે. આ આતંકવાદી હુમલામાં, કોઈએ પોતાનો
પુત્ર ગુમાવ્યો, કોઈએ પોતાનો ભાઈ
ગુમાવ્યો તો કોઈએ પોતાના જીવનસાથી ગુમાવ્યા. તેમાંના કેટલાક બંગાળી બોલતા હતા, કેટલાક કન્નડ
બોલતા હતા, કેટલાક ઉડિયા
બોલતા હતા, કેટલાક મરાઠી હતા, કેટલાક ગુજરાતી
હતા, અને કેટલાક
બિહારના હતા. આજે, કારગિલથી
કન્યાકુમારી સુધી, તે બધા લોકોના
મૃત્યુ પર, આપણો શોક અને ગુસ્સો એક સમાન છે.”
પ્રધાનમંત્રીએ કડક શબ્દોમાં કહ્યું કે,” દેશના દુશ્મનોએ
ભારતની આત્મા પર હુમલો કરવાનું દુ:સાહસ કર્યું છે. હું ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં
કહેવા માંગુ છું કે, જે આતંકવાદીઓએ, આ હુમલો કર્યો છે અને જેમણે આ હુમલો કરવાનું
કાવતરું ઘડ્યું છે તેમને, તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે.” તેમણે કહ્યું, હું આખી દુનિયાને
કહું છું કે,” ભારત દરેક આતંકવાદી અને તેમના સમર્થકોને ઓળખશે, ટ્રેક કરશે અને
સજા કરશે.
તેમણે કહ્યું કે,” આતંકવાદને સજા મળે તે સુનિશ્ચિત કરવા
માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. આખો દેશ આ સંકલ્પ પર અડગ છે.” તેમણે કહ્યું કે,” 140 કરોડ ભારતીયોની
ઇચ્છાશક્તિ હવે આતંકના માસ્ટરોની કમર તોડીને રહેશે.” પ્રધાનમંત્રીએ કહ્યું કે,”
માનવતામાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ, આપણી સાથે છે.” પ્રધાનમંત્રીએ આ મુશ્કેલ
સમયમાં ભારતની સાથે ઉભા રહેલા વિવિધ દેશો અને નેતાઓનો આભાર માન્યો.
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ,
13,48૦ કરોડ
રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ
કહ્યું કે આજે બિહારના વિકાસ સાથે સંબંધિત હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું
ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. વીજળી, રેલ્વે અને માળખાગત સુવિધાઓ સંબંધિત આ વિવિધ
કાર્યો બિહારમાં રોજગારની નવી તકો ઉભી કરશે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય કવિ રામધારી સિંહ દિનકરને, તેમની
પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ