પાટણ, 1 જૂન (હિ.સ.) પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કોલેજ કેમ્પસ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત અને સૌરાષ્ટ્રના સંયુક્ત સંઘ શિક્ષા વર્ગનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ગમાં રાજ્યના 10 વિભાગના 36 જિલ્લાઓમાંથી આવેલા 251 શિક્ષાર્થીઓએ 32 શિક્ષકો પાસેથી 15 દિવસનું પ્રશિક્ષણ મેળવ્યું હતું. સવારે 4:15થી રાત્રે 10:30 સુધી ચાલતા પ્રવૃત્તિપ્રધાક દિવસો દરમિયાન વિદ્યાર્થીોએ શિસ્ત, સંયમ અને સ્વદેશી જીવન પદ્ધતિનો અભ્યાસ કર્યો.
પ્રશિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓએ દંડ, યોગ, નીયુદ્ધ, લાઠીદાવ અને કરાટે જેવી શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. ઘોષમાં પણ શંખ, વંશી, પ્રણવ, ઝલ્લરી વગેરેના તાલબદ્ધ પ્રદર્શનથી કાર્યક્રમને રંગત આપી. બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં અમૃત વચન, રાષ્ટ્રભક્તિ ગીતો અને વિચારો દ્વારા સંઘના મૂલ્યો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યા.
સમાપન પ્રસંગે મુખ્ય અતિથિ નારણભાઈ પટેલે જણાવ્યું કે, “સંઘ રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના અને આપત્તિના સમયમાં સેવાભાવના સંસ્કાર આપે છે. ગુજરાત પ્રાંત પ્રચારક નિમેશભાઈ પટેલે મહારાણી અહલ્યાબાઈ હોલ્કર, રાણી લક્ષ્મીબાઈ અને મહારાણી અબક્કા જેવી વીરાંગનાઓનું સ્મરણ કરાવ્યું અને ઓપરેશન સિંદૂર દ્વારા, ભારતના દર્શન વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, “શારીરિક કૌશલ્ય આપત્તિ સમયે મદદરૂપ થવા માટેની તૈયારીનું પ્રતિક છે.“
તેમણે સ્વામી વિવેકાનંદના “ગર્વ સે કહો હમ હિંદુ હે”ના વાક્ય સાથે સંઘના 100 વર્ષના યાત્રાનો ઉલ્લેખ કર્યો. 1925માં ડૉ. હેડગેવારે 25 યુવાનો સાથે શરુ કરેલી શાખા, આજે વૈશ્વિક સ્વીકૃતિ મેળવી રહી છે. રામાયણ અને મહાભારતના સંદેશથી ભારત વાર્તાલાપ અને શાંતિ દ્વારા યુદ્ધ ટાળવા પ્રયાસ કરે છે, જે ઓપરેશન સિંદૂરના સીઝફાયર દરમિયાન પણ વિશ્વે જોયું.
વર્ગના પ્રક્રિયાઓ અંગે વર્ગ અધિકારી ઇન્દ્રવદનભાઈ બારોટે જણાવ્યું કે,“ વિદ્યાર્થીઓને શારીરિક, બૌદ્ધિક, વ્યવસ્થા, સેવા, સંપર્ક અને પ્રચારનું સઘન પ્રશિક્ષણ અપાયું. સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ “પંચ પરિવર્તન” જેમકે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી અને નાગરિક કર્તવ્યના સંદેશને પ્રત્યેક ઘરમાં પહોંચાડવા પ્રયાસશીલ છે.“
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર