આજે વિશ્વ સાયકલ દિવસઃ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત વલસાડના તબીબ દંપતીએ લોકોમાં સાયકલ પ્રત્યે પ્રેમ જગાવ્યો
વલસાડ, 2 જૂન (હિ.સ.)-સમાજને તંદુરસ્ત રાખવા માટે તબીબોની ખૂબ જ મહત્વની ભૂમિકા છે અને આ ભૂમિકા પોતાની હોસ્પિટલ કે દવાખાના સુધી સીમિત રહી નથી. પોતાના સ્વાસ્થયની તંદુરસ્તી બાબતે સમાજમાં જાગૃતિ કેળવાય, લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે તે માટે વલસાડમાં એક ત
Valsad


વલસાડ, 2 જૂન (હિ.સ.)-સમાજને તંદુરસ્ત રાખવા માટે તબીબોની ખૂબ જ મહત્વની ભૂમિકા છે અને આ ભૂમિકા પોતાની હોસ્પિટલ કે દવાખાના સુધી સીમિત રહી નથી. પોતાના સ્વાસ્થયની તંદુરસ્તી બાબતે સમાજમાં જાગૃતિ કેળવાય, લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે તે માટે વલસાડમાં એક તબીબ દંપતિ છે કે, જેઓ સમાજના દરેક વર્ગના લોકોને તંદુરસ્ત અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ આપવા માટે વહેલી સવારથી સાંજ સુધી કાર્યરત રહે છે. પોતાની તબીબી ફરજની સાથે હેલ્થ પ્રત્યે સમાજને જાગૃત કરવાનું ભગીરથ કાર્ય કરી રનીંગ અને સાયકલિંગ માટે લોકોને પ્રોત્સાહિત કરે છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને વર્ષ દરમિયાન અનેકવાર સાયકલોથોન અને મેરેથોનનું આયોજન કરે છે. આજે તા. 3 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં સાયકલ ડે યોજાવા જઈ રહ્યો છે ત્યારે વલસાડમાં એક દાયકા ઉપરાંતથી આ તબીબ દંપતીએ વલસાડવાસીઓમાં સાયકલિંગ પ્રત્યે જબરજસ્ત પ્રેમ જગાવ્યો છે.

વલસાડમાં વસતા લોકોમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તે માટે ડો. કલ્પેશ જોશીએ ૧૨ વર્ષ પહેલા વલસાડ રેસર્સ ગૃપની મિત્રો સાથે મળી સ્થાપના કરી હતી. ત્યારબાદ આ ગૃપના નેજા હેઠળ સાયકલોથોન અને સાયકલિંગ ઈવેન્ટસનું અનેકવાર સફળ આયોજન કરી લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરી દીધા છે. આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સાયકલિંગ પ્રત્યે તેમની વ્યક્તિગત સિદ્ધિઓઓ પર નજર કરીએ તો, ફ્રાન્સના પેરિસથી સુપર રેન્ડોન્યુર ટાઇટલ જીતીને ત્રણ વખત લાંબા અંતરની બ્રેવેટ શ્રેણી (200, 300, 400, 600 કિમી) પૂર્ણ કરી છે. બે વાર 1000 કિમી રાઇડ્સ પૂર્ણ કરી, 2019માં પેરિસ-બ્રેસ્ટ-પેરિસ (PBP) સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી જે 11000 મીટરની ઊંચાઈ સાથે 1450 કિમીની રાઇડ હતી. આ વિશ્વની સૌથી મુશ્કેલ સાયકલિંગ ઇવેન્ટ્સમાંની એક છે.

ડો. કલ્પેશભાઈ જોશીના પત્ની અને તબીબ ડો.ભૈરવીબેન જોશીએ આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરવા માટે 2015માં ત્રયમ ફાઉન્ડેશનની સ્થાપના કરી ખાસ કરીને બાળકો અને મહિલાઓમાં સાયકલ પ્રેમ જાગે તે માટે ભગીરથ પ્રયાસ કર્યા છે. વ્યવસાયે ડો. ભૈરવી ડેન્ટિસ્ટ છે, પણ તેમનું વ્યક્તિત્વ માત્ર તબીબી ક્ષેત્રમાં જ સીમિત નથી રહ્યું, તેઓ તંદુદરસ્ત પર્યાવરણ માટે નિષ્ઠાવાન અને કાર્યદક્ષ રહ્યા છે. (BYCS) બાઈક્સ ઇન્ડિયા ફાઉન્ડેશનના તેઓ પ્રથમ બાયસીકલ મેયર હતા અને હવે (CEO) સી.ઈ.ઓ છે. એમના માર્ગદર્શન હેઠળ દેશના વિવિધ 52 શહેરના બાયસીકલ મેયર સાઈકલિંગ પ્રમોશન માટે કાર્ય કરી રહ્યા છે. જે થકી શહેરી વિકાસ મંત્રાલય સાથે સહભાગી થઈ સાયકલ ટુ સ્કૂલ અને સાયકલ ટુ વર્ક પ્રોગ્રામ ગુજરાતમાં અને અલગ અલગ રાજ્યમાં પ્રમોટ કર્યા છે. ગવમેન્ટ ઓફ ઇન્ડિયા હેલ્થ મિનિસ્ટ્રીમાં સાઈકલિંગ ફોર હેલ્થ કમિટીના મેમ્બર છે જેમાં સિટીને સાયકલ ફ્રેન્ડલી બનાવવા માટે હાલમાં કામ કરી રહ્યા છે. મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સના ‘‘સાયકલિંગ સન ડે’’ અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યા છે. નવસારીમાં વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા જવા માટે તકલીફ ન પડે એ માટે 3800 થી વધુ સાયકલ દાન કરી છે. આ સિવાય વલસાડ, સુરત, પારડી વિસ્તારમાં 500 થી વધુ જરૂરિયાતમંદને સાયકલ દાનમાં આપી છે. ડો. ભૈરવી જોશીએ 2015માં અમદાવાદમાં યોજાયેલી 50 કિલોમીટર સાઈકલોથોનમાં ઓપન કેટેગરીમાં કોઈ પૂર્વ તૈયારી વિના સાદી સાઈકલથી પાંચમો નંબર આવ્યો હતો. ત્યારબાદ આ વર્ષમાં જ 200 કિલોમીટરની નાઈટ સાઈકલિંગ પણ પૂર્ણ કરી હતી.

બાળકોમાં રહેલી ઉર્જાના સંપૂર્ણ વિકાસ માટે ડો.ભૈરવી જોશીએ પુસ્તક 'ઑઝોન સેવિયર્સ' માં સ્પષ્ટતા કરી છે. વળી, પ્રથમ જુનિયર બાઈસીકલ મેયર કેવી રીતે લોકોની માનસિકતા બદલે છે એનું પણ આ પુસ્તકમાં વર્ણન કર્યું છે. તેમણે એક બીજું પુસ્તક 'ફ્યુઅલ યોર થોટ્સ' ની રચના કરી છે. 'ફ્યુઅલ યોર થોટ્સ' એ સ્ત્રીઓ માટે સ્વસહાયક પુસ્તક છે, જે મહિલાઓના કૌશલ્ય વિકાસ અને સશક્તિકરણ માટેના કાર્યનું શ્રેષ્ઠ પ્રતિબિંબ છે.

ડોકટર દંપતી કલ્પેશભાઈ અને ભૈરવીબેન જોશી વિશ્વ સાયકલ દિવસની શુભેચ્છા પાઠવતા જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફિટ ઈન્ડિયા ઝુંબેશ દ્વારા દેશના નાગરિકોને સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહન આપ્યું છે. “સાયકલિંગ એ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ પર્યાવરણની જાળવણી અને સામાજિક એકતા માટે પણ એક શ્રેષ્ઠ માધ્યમ છે. આ ઝુંબેશ દ્વારા વધુ ને વધુ લોકો પ્રેરણા મેળવે અને સાયકલિંગને પોતાના જીવનનો ભાગ બનાવે.”

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande