પાટણ, 1 જૂન (હિ.સ.) સિદ્ધપુર ખાતે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજમાં સિદ્ધપુર ડીવીઝન ગ્રીડ સ્ટાફની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડનો સુવર્ણ જયંતિ સમારોહ કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં મંત્રીશ્રીએ તેમની ઓફિસ ડાયરીનું વિમોચન કર્યું હતું. ઉપરાંત, મૃત્યુ સહાય નિધિ અંતર્ગત પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. નિવૃત્ત કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા ધોરણ 10 અને 12 પાસ કરેલા સભાસદોના બાળકોને શૈક્ષણિક સિદ્ધિઓ બદલ ઈનામ આપવામાં આવ્યા હતા.
કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપૂતે સભાસદોની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને સમાજહિતના કાર્યો માટે સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારત હવે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે અને 140 કરોડ નાગરિકોને આત્મનિર્ભર બનાવવા પ્રયત્નો થઈ રહ્યા છે. આજે વિશ્વની ટોચની 100 કંપનીઓમાં ઘણી કંપનીઓ ગુજરાતમાં સ્થાયી થઈ છે, જે રાજ્યની વિકાસયાત્રાનું પ્રતિક છે.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર, યુજીવીસીએલના એમ.ડી. એન.એફ. ચૌધરી, સંસ્થાના પ્રમુખ સુરેશભાઈ દેસાઈ, એજીવીકેએસના સિનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલ, પાટણ જિલ્લા સહકારી સંઘના ચેરમેન સુરેશભાઈ પટેલ તથા યુજીવીસીએલના અધિક્ષક ઈજનેર વી.બી. બોડાત સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર