પાટણ, 17 જૂન (હિ.સ.)પાટણની જ્યુડિશિયલ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં પતિને તેની પત્નીને દર મહિને રૂ. 15,000 ભાડું અને રૂ. 15,000 ભરણપોષણ ચુકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે પતિએ રૂ. એક લાખની વળતરની રકમ પણ ચુકવવાની રહેશે. એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ ડૉ. હિરલબેન પી. જોશીએ આ ચુકાદો આપ્યો હતો.
કેસની વિગતો મુજબ, 2016માં એક બ્રાહ્મણ મહિલાએ ગુર્જર સમાજના શિક્ષક સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા. પરંતુ સમય જતાં મનમેળ ન રહેવાથી બંને અલગ રહેવા લાગ્યા હતા. ત્યારબાદ પત્નીએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે પત્નીના એડવોકેટ બિપીનભાઈ એમ. બારોટની દલીલોને આધારે આ નિર્ણય આપ્યો છે.
ચુકાદામાં પતિને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, તે પોતાની પત્નીને શારીરિક કે માનસિક ત્રાસ ન આપે તેમજ તેની મદદ કરતા કોઈપણ વ્યક્તિને નુકસાન ન પહોંચાડે. જો આવી પરિસ્થિતિ ઉભી થાય, તો પત્ની નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે. 49 પાનાના ચુકાદામાં બંને પક્ષોના દલિલો અને પુરાવાઓનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર