ગીર સોમનાથ 2 જૂન (હિ.સ.) રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગીર સોમનાથ દ્વારા ૧૬થી ૩૦ મે દરમિયાન વેરાવળમાં ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન હેઠળ બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ અટકાવી શકાય તે માટે સમર યોગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં બાળકોએ ભાગ લઈ અને વિવિધ યોગાસનોના માધ્યમથી મેદસ્વિતા સામે મુક્તિ અને શારીરિક તંદૂરસ્તી કેળવવાના પાઠ શીખ્યાં હતાં.
આજના સમયમાં બેઠાડું જીવન અને સતત મોબાઈલના વપરાશની સમસ્યા બાળકોમાં વધતી જોવા મળે છે ત્યારે આ સમસ્યામાંથી છૂટકારો અને શારીરિક તંદુરસ્તી કેળવાઈ તેવા ઉદ્દેશથી અનુભવી અને સર્ટિફાઈડ યોગ શિક્ષકો દ્વારા વેરાવળમાં કબૂલ ભગત સાહેબ મંદિર, હુડકો સોસાયટી, પ્રકાશ કોમ્પલેક્સ સરસ્વતી વિદ્યાલય, અને ડાભોર રોડના દેવકા ગાર્ડન ખાતે સવારે ૭ થી ૯ કલાક સુધી ૦૭ થી ૧૫ વર્ષના બાળકોને વિવિધ યોગની તાલીમ આપવામાં આવી હતી.
બાળકની પ્રગતિનો આધારસ્તંભ છે યોગ.’ આ ટેગલાઈન સાથે ઉજવાયેલા આ સમર યોગ કેમ્પમાં કેમ્પ દરમિયાન યોગાસન, ધ્યાન, પ્રાણાયામ, મંત્રો અંગે તાલીમ આપવામાં આવી હતી તેમજ વિવિધ સ્પર્ધાઓ અને સેલ્ફ ડિફેન્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
આજના બાળકો એ આવતીકાલનું ભવિષ્ય હોવાથી તેઓ ભવિષ્યના સારા અને સશક્ત નાગરિક બને એ દિશામાં કેળવણી આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન બાળકોને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવ્યો હતો તેમજ માંસપેશીઓની ક્ષમતા વધારતા અને શરીરમાં લચીલાપણું લાવતા યોગ કરાવવામાં આવ્યાં હતાં.
ટ્રેનર્સ દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર આરોગવાથી શરીર અને મનને થતાં ફાયદાઓ અંગેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, યોગથી બાળકોનું તન અને મન તંદુરસ્ત રહે છે તેમજ ભણતરમાં એકાગ્રતામાં વધારો થાય છે. આ કેમ્પના અંતે ઘરે નિયમિત યોગ કરી શકાય તેવી માહિતી પુસ્તિકા અને સર્ટિફિકેટનું વિતરણ કરાયું હતું
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ