નવસારી, 27 જૂન (હિ.સ.)- નવસારી જિલ્લામાં મંગળવાર બાદ બુધવારનો દિવસ પણ ભારે વરસાદ સાથે ભીંજાઈ ગયો. ગઈકાલે જિલ્લામાં કુલ 3.45 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના પગલે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદના કારણે જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકના 32 જેટલા મુખ્ય માર્ગો બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને તેમના ગંતવ્ય સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ રસ્તાઓના બંધ થવાથી ખાસ કરીને શાળાઓ અને કોલેજોમાં જતા વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા કામકાજે જતાં નોકરિયાત વર્ગને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. વિધાનસભા અને તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા સ્થળ પર મોનીટરીંગ કરવામાં આવી રહી છે અને રસ્તા ફરીથી શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યાં છે.
વરસાદી પરિસ્થિતિ અને ઉપરવાસમાં પણ વરસાદ યથાવત રહેતા તંત્ર દ્વારા ચેતવણી આપી દેવામાં આવી છે અને સ્થાનિકોને અનાવશ્યક પ્રવાસ ટાળવાની અપીલ પણ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે