ગાંધીનગર, 27 જૂન (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 148મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું.
તેમણે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે વિડિયો વોલ પરથી આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ, રથના લોકેશન, પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય તેમજ પોલીસ, મહાનગરપાલિકા તથા આઈ.સી.ટી. ટીમના અધિકારીઓ પણ જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ