વડોદરા, 3 જૂન (હિ.સ.)-મધ્યપ્રદેશના અલીરાજપુરનો એક શ્રમજીવી પરિવાર અમરેલી ખેત મજૂરી કરવા માટે જતા હતા. તે દરમિયાન આજવા ચોકડીથી ગોલ્ડન ચોકડીની વચ્ચે અકસ્માત નડતા પરિવારની 10 વર્ષની બાળકી અને રિક્ષા ચાલકના મોત થયા હતા. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મધ્ય પ્રદેશના અલીરાજપુર ખાતે છોટી સરાડી ગામે રહેતા કેમતાભાઇ જહોરીયાભાઇ, તેમના પત્ની અને તેમના ચાર સંતાનો ભલી,દલી,લલી તથા ભઇલુ ઘરેથી ખેત મજૂરી કરવા માટે અમરેલી જવા નીકળ્યા હતા. ગામડેથી ખાનગી વાહનમાં તેઓ અલીરાજપુર આવ્યા હતા. ત્યાંથી તેઓ ટ્રેનમાં બેસીને વડોદરા રેલવે સ્ટેશન ઉતર્યા હતા. વડોદરા ડેપોથી અમરેલીની બસ નહીં મળતા તેઓ રિક્ષામાં બેસીને કપુરાઇ ચોકડી આવ્યા હતા. પરંતુ,રાતે બસ નહીં મળતા શ્રમજીવી પરિવાર બ્રિજ નીચે સૂઇ ગયો હતો.
રવિવારે મોડી રાતે અઢી વાગ્યે એક રાહદરીએ જણાવ્યું હતું કે, અમરેલી જવાની બસ દુમાડ ચોકડી પાસેથી મળશે. કપુરાઇ ચોકડીથી એક રિક્ષા ભાડે કરીને તેઓ દુમાડ ચોકડી જતા હતા. તે દરમિયાન એ.પી.એમ.સી. માર્કેટ પાસે પાછળથી પૂરઝડપે આવતા એક વાહન ચાલકે રિક્ષાને ટક્કર મારતા (1) ભલીબેન કેમતાભાઇ પચૈયા, ઉં.વ.10, પેટ પર ઇજા (2) દલીબેન હિંમતભાઇ પાછીયા, ઉં.વ.7, પેટ પર ઇજા (3) શેખડી હિમંતભાઇ પાછીયા, ઉં.વ.35, ડાબા પગે ઇજા (4) લલીબેન, ઉં.વ.12, માથામાં ઇજા (5) ભઇલુભાઇ, ઉં.વ.14, માથામાં ઇજા થતા અર્ધ બેભાન તથા (6) કેમતાભાઇ જહોરીયાભાઇ પચૈયા, ઉં.વ.54, માથા અને નાકમાં ઇજા ( તમામ રહે.નાની શરાડી, અલીરાજપુર, મધ્યપ્રદેશ) ને ઇજા પહોંચી હતી. જે પૈકી ભઇલુનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે રિક્ષા ચાલક હંસરાજ દગડુભાઇ થોરાટ (રહે. વુડાના મકાનમાં,બાપોદ) નું ઘટના સ્થળે જ મોત થયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે