ગાંધીનગર, 6 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની ઋતુમાં મચ્છર જન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ વિસ્તારોમાં આવેલી ૧૭૬ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે શાળાઓ, કોલેજો, હોસ્ટેલ્સ અને પીજીમાં સઘન સર્વેલન્સ, સોર્સ રિડક્શન અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાયબ મ્યુનિસિપલ કમિશ્નર (આરોગ્ય), આરોગ્ય અધિકારી અને મેલેરિયા અધિકારીની આગેવાની હેઠળ ૯૫ આરોગ્ય ટીમોએ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ, મચ્છર સંક્રમણના સંભવિત સ્થાનો જેવા કે અગાસી પર ભરાયેલ પાણી, ૧૪૩ ટાંકાઓ, પાણીના ફુવારા, પક્ષીના કુંડાઓ, છોડના કુંડાઓ અને રમતગમતના સાધનોની તપાસ કરી હતી.
અગાસી પર જમા થયેલ કચરાને કારણે પાણીનો જમાવડો થતાં કેટલીક શાળાઓમાં મચ્છરનું બ્રીડીંગ જોવા મળ્યું હતું.કુલ ૧૪ સંસ્થાઓ જેવી કે આરાધનાવિદ્યા વિહાર (સેક્ટર-૨૮), વસંતકુવરબા સ્કૂલ (સેક્ટર-૨૮), શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ (સેક્ટર-૨૩), ગવર્મેન્ટ કુમાર છાત્રાલય (વાવોલ), સિદ્ધાર્થ સ્કૂલ (વાવોલ), આદર્શ નિવાસી સ્કૂલ (વાવોલ), ગવર્મેન્ટ પ્રાઇમરી સ્કૂલ (સેક્ટર-૧૩), સ્વામી વિવેકાનંદ પ્રાઇમરી સ્કૂલ (સેક્ટર-૨૪), ગવર્મેન્ટ પ્રાઇમરી સ્કૂલ-૧ અને ૨, સિવિલ હોસ્પિટલ કેન્ટીન (સેક્ટર-૧૨), અને સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલને મચ્છર સંક્રમણ થવા દેવા બદલ નોટિસ ફટકારવામાં આવી હતી.
આ નોટિસમાં ભવિષ્યમાં બ્રીડીંગ જોવા મળે તો સખત દંડ અને સીલ કરવાની ચેતવણી આપવામાં આવી છે.આ ઉપરાંત, અગાસી પર પહોંચી ન શકાય તેવા સ્થળોએ ઓઇલ બોમ્બનુસર થયેલ પાણીમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. શૈક્ષણિક સંસ્થાઓમાં ૨૫૦થી વધુ પક્ષીઓના કુંડા દૂર કરવામાં આવ્યા હતા, અને ખાડાખાબોચિયામાં જમા થતા ગંદા પાણીમાં ૯૦ લીટર બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં મચ્છર જન્ય રોગો અંગે જાગૃતિ લાવવા ૩,૦૦૦ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર આરોગ્યની જાળવણી માટે આવી કામગીરી નિયમિત રીતે ચાલુ રહેશે અને સ્વચ્છતા જાળવવા માટે કડક પગલાં લેવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ