
મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું યશવંતપુરા ગામ આયોજનબદ્ધ વિકાસ અને સુવ્યવસ્થિત બાંધકામ માટે ઓળખ પામી રહ્યું છે. આશરે 900 વસ્તી ધરાવતા આ ગામમાં મુખ્યત્વે પાટીદાર અને બક્ષીપંચ જ્ઞાતિના લોકો વસે છે. ખેતી અને પશુપાલન અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે, છતાં આધુનિક સુવિધાઓમાં ગામ શહેરોને ટક્કર આપે છે.
ગામમાં 24 કલાક પીવાનું પાણી અને વીજળી ઉપલબ્ધ છે. પાકા રસ્તા, સ્ટ્રીટ લાઈટ, બેંક, પંચાયત મકાન અને મંદિર જેવી સુવિધાઓથી ગામ સુસજ્જ છે. વર્ષો પહેલા સ્ટ્રીટ લાઈટ માટે 50,000 રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. ઉપરાંત વિવિધ સેવા કાર્યો માટે અંદાજે 2.5 થી 3 કરોડ રૂપિયા ખર્ચાયા છે, જેના કારણે રસ્તા, લાઈટ અને પાણી જેવી સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે.
યશવંતપુરાની ખાસિયત તેની અનોખી શેરી રચના છે. ગામ લંબચોરસ આકારમાં વસાવાયેલું છે અને શેરીઓ કાટકોણ પદ્ધતિએ ગોઠવાયેલી છે. દરેક શેરીને નંબર આપવામાં આવ્યા છે. મુખ્ય રસ્તાને “ઉભી બજાર” અને શેરી રસ્તાઓને “આડી બજાર” તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામજનોના સાથ-સહકાર અને સારા નેતૃત્વથી આજે યશવંતપુરા સુખી અને વિકાસશીલ ગામ તરીકે પ્રગતિ કરી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR