
મહેસાણા,18 માર્ચ (હિ.સ.) પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષકશ્રીની અધ્યક્ષતામાં વ્યાજખોરી સંબંધિત રજૂઆતો સાંભળવા તથા નાગરિકોને કાયદેસર રીતે બેંકોમાંથી લોન મેળવવાની માહિતી આપવા જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ બેંકોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
સભા દરમિયાન નાગરિકોએ વ્યાજખોરો દ્વારા થતા શોષણ અંગે પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. પોલીસ અધિકારીઓએ દરેક રજૂઆતને ગંભીરતાથી સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સાથે જ નાગરિકોને વ્યાજખોરોથી દૂર રહેવા અને કાયદેસર રીતે બેંકોમાંથી જ લોન લેવાની સલાહ આપવામાં આવી હતી.
બેંકના અધિકારીઓ દ્વારા લોન મેળવવાની પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો, વ્યાજદર અને સરકારની વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેથી લોકો સરળતાથી અને સુરક્ષિત રીતે આર્થિક સહાય મેળવી શકે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને જાગૃત બનાવી વ્યાજખોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાનો અને લોકોમાં વિશ્વાસ વધારવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR