




મામલતદાર અને આરોગ્ય અધિકારીને જાણ કરતા તપાસમાં તંત્રમાં મચ્યો ફફડાટ
લાભાર્થીઓ સુધી કાર્ડ પહોંચાડવાને બદલે કચરામાં ફેંકી દેવાયા
હજારો નવા આયુષ્યમાન ભારત કાર્ડનો કોઈ ઉપયોગ કરાયો કે કૌંભાંડ તપાસનો વિષય
ભરૂચ 20 માર્ચ (હિ.સ.) ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા અંસાર માર્કેટ વિસ્તારની એક અવાવરુ જગ્યાએથી સુરત શહેરના લાભાર્થીઓના આયુષ્માન કાર્ડનો મોટો જથ્થો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આયુષ્માન કાર્ડ જેવી સંવેદનશીલ અને સરકારી યોજનાના દસ્તાવેજો આ રીતે બિનવારસી હાલતમાં મળી આવતા વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
60 કિલોમીટર દૂર સુરતના કાર્ડ અંકલેશ્વર કેવી રીતે પહોંચ્યા?
સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે અંકલેશ્વરથી અંદાજે 60 કિલોમીટર દૂર આવેલા સુરત શહેરના રહીશોના આયુષ્માન કાર્ડ અહીં કેવી રીતે આવ્યા? પ્રાથમિક દ્રષ્ટિએ આ કાર્ડ સુરતના અલગ-અલગ વિસ્તારના લાભાર્થીઓના હોવાનું જણાય છે. આ કાર્ડનો જથ્થો અંકલેશ્વરના અંસાર માર્કેટની અવાવરુ જગ્યાએ કોણે ફેંક્યો અને તેની પાછળનો હેતુ શું હતો, તે હાલ તપાસનો વિષય છે.
કૌભાંડ કે ઘોર બેદરકારી?
આ ઘટના સામે આવતા જ અનેક વેધક સવાલો ઉઠી રહ્યા છે:
વિતરણમાં નિષ્ફળતા: શું સુરતમાં લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બની ગયા હોવા છતાં સંબંધિત એજન્સી કે તંત્ર દ્વારા તેમને પહોંચાડવામાં આવ્યા ન હતા?
ગેરરીતિની આશંકા: શું આ કાર્ડના નામે કોઈ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે? શું આ કાર્ડનો દુરુપયોગ કરવા માટે અહીં લાવવામાં આવ્યા હતા?
રેઢિયાળ તંત્ર: સરકારી દસ્તાવેજો કે જે ગરીબ પરિવારો માટે આરોગ્યનું સુરક્ષા કવચ છે, તેને આ રીતે કચરાની જેમ ફેંકી દેવા પાછળ જવાબદાર કોણ?
તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તપાસ શરૂ
આ ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર તાલુકા હેલ્થ ઓફિસર એક્શન મોડમાં આવ્યા છે. તેમણે તાત્કાલિક અસરથી આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્ડ કયા સેન્ટર પરથી ઇસ્યુ થયા હતા અને અંકલેશ્વર સુધી તે કયા માધ્યમથી પહોંચ્યા તેની કડીઓ મેળવવામાં આવી રહી છે. હાલમાં તમામ કાર્ડનો જથ્થો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ