
ગીર સોમનાથ 13 જૂન (હિ.સ.)
કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે યોજાયેલી 'પ્રગતિ પથ યાત્રા' અંતર્ગત શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ માઢવાડ બંદર, કોડીનાર નગરપાલિકા ગાર્ડન અને દેદાની દેવળી આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી.
ગીર સોમનાથ જિલ્લાના મત્સ્યોદ્યોગમાં કોડીનાર તાલુકાનું માઢવાડ બંદર ખૂબ જ મહત્વનું અને નિર્ણાયક યોગદાન આપી શકે તેમ છે. અપાર તકોને લક્ષ્યમાં લઈ માઢવાડ બંદરમાં સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. મંત્રીએ 'પ્રગતિ પથ યાત્રા' અંતર્ગત બંદરની સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી.
મંત્રરી સમક્ષ માઢવાડ બંદર અંગેની તમામ ઝીણવટભરી વિગતો રજૂ કરવામાં આવી હતી.
મંત્રીએ બંદરની કામગીરી, બ્રેકવોટર પોઈન્ટ, પહેલા તબક્કા અંતર્ગતની કામગીરી, ક્લિયરન્સ, મેમોરેન્ડમ, પ્રપોઝલ, પ્રોજેક્ટ વિસ્તરણ, માટીપુરાણ કામ, મટિરિયલ અંગેની ઉપલબ્ધતા અને કોટડા, વેલણ, છારા, સરખડી, મુળ દ્વારકા સહિતનાં દરિયાઇ વિસ્તારનાં સાગરખેડૂઓની બંદર સંબંધિત પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી.
વધુમાં મંત્રીએ વર્ષ ૨૦૨૪માં 'સીટી બ્યૂટીફિકેશન કોમ્પિટિશન' અંતર્ગત નગર પાલિકા શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવી ચૂકેલા કોડીનાર નગરપાલિકા દ્વારા સંચાલિત રૂ.૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલા સ્વામી વિવેકાનંદ પાર્કની મુલાકાત લઈ ગાર્ડન વિશે જાણકારી મેળવી હતી.
દેદાની દેવળી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મંત્રીશ્રીએ પ્રાથમિક આરોગ્ય સેવા અને આયુર્વેદિક સારવારની જાણકારી મેળવી અને વધુ સારી રીતે ગ્રામજનોને વૈદિક ચિકિત્સાનો લાભ મળે એ દિશામાં માર્ગદર્શક સૂચનો કર્યા હતાં.
આ યાત્રામાં અગ્રણી સર્વશિવાભાઈ સોલંકી, શારદાબહેન બામણિયા, ચીફ ઓફિસર અને નગરપાલિકાના કર્મચારીઓ જોડાયાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ