
નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.) દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ તેમની તાજેતરની ફિલ્મ 'બંટવારા 1947' માં અભિનેતા સની દેઓલને એક ભારતીય મુસ્લિમ પાત્રમાં કાસ્ટ કરવાના નિર્ણયનો બચાવ કર્યો છે. 14 ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મ ભારત-પાકિસ્તાન વિભાજનની કરુણાંતિકા અને તે દરમિયાન સામાન્ય લોકોના દર્દને કેન્દ્રમાં રાખે છે. ફિલ્મમાં સનીને આવા પાત્રમાં જોવું દર્શકો માટે એટલા માટે પણ ચર્ચાનો વિષય બન્યો, કારણ કે અભિનેતા તેમની દેશભક્તિ અને એક્શન ફિલ્મો માટે ખાસ કરીને ઓળખાય છે.
રાજકુમાર સંતોષીના મતે, ફિલ્મનો વિચાર લગભગ 15 વર્ષ પહેલાં તેમના મનમાં આવ્યો હતો. તે સમયે પાકિસ્તાન કે મુસ્લિમ પાત્રો સાથે જોડાયેલી વાર્તાઓ બનાવવી ખૂબ જ જોખમી માનવામાં આવતું હતું. આવા સંજોગોમાં સની દેઓલને ભારતીય મુસ્લિમ પાત્ર તરીકે રજૂ કરવું તેમના માટે પણ એક પડકારજનક નિર્ણય હતો. દિગ્દર્શકે જણાવ્યું કે, તેમને એ વિશ્વાસ હતો કે સની પોતાની અભિનય ક્ષમતાથી પાત્રને ન્યાય આપી શકે છે. તેમણે અભિનેતાની મહેનતની પણ ખૂબ પ્રશંસા કરી. ફિલ્મમાં પાત્રની પ્રામાણિકતા જાળવી રાખવા માટે સનીએ કુરાનની આયતોનું પઠન પણ કર્યું.
ફિલ્મને લઈને જ્યાં કેટલાક દર્શકોની પ્રતિક્રિયા મિશ્ર રહી છે, ત્યાં ધાર્મિક નેતાઓએ તેના એકતા અને ભાઈચારાના સંદેશની પ્રશંસા કરી છે. જોકે, શરૂઆતના અઠવાડિયા પછી બોક્સ ઓફિસ પર ફિલ્મનું પ્રદર્શન અપેક્ષા મુજબ મજબૂત રહ્યું નથી. તેમ છતાં સંતોષીને આશા છે કે દર્શકો ફિલ્મના મૂળ સંદેશ સાથે જોડાશે. તેમનું કહેવું છે કે, ફિલ્મનો ઉદ્દેશ્ય કોઈ ધર્મને નિશાન બનાવવાનો નથી, પરંતુ ભાઈચારો, સહ-અસ્તિત્વ અને એકબીજાના ધર્મના સન્માનની ભાવનાને સામે લાવવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ