ગૌહાટી-દિલ્હી વચ્ચે ચાર લેનનો રેલ માર્ગ વિકસાવવામાં આવશે : હિમંત બિસ્વ સરમા
ગૌહાટી, નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.). આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમાએ, રાજ્યમાં રેલ કનેક્ટિવિટી (રેલ જોડાણ) ને લઈને મોટી જાહેરાત કરી છે. શુક્રવાર રાત્રે એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે, ગૌહાટી અને દિલ્હી વચ્ચેના રેલ માર્ગને ચાર લેનમ
આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમા


ગૌહાટી, નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.). આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમાએ, રાજ્યમાં રેલ કનેક્ટિવિટી (રેલ જોડાણ) ને લઈને મોટી જાહેરાત કરી છે. શુક્રવાર રાત્રે એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે, ગૌહાટી અને દિલ્હી વચ્ચેના રેલ માર્ગને ચાર લેનમાં વિકસાવવાની યોજના છે. મુખ્યમંત્રીના મતે, આનાથી આસામ અને દેશના અન્ય ભાગો વચ્ચેના રેલ વ્યવહારને ગતિ મળશે.

મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશભરમાં 7 રેલવે ટ્રેક (રેલવે પાટા) ને ચાર લેનમાં બદલવાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે એ પણ જણાવ્યું કે, સરાઈઘાટમાં બીજા રેલવે પુલના નિર્માણનું કામ જલ્દી શરૂ થવાની અપેક્ષા છે.

હિમંત બિસ્વ સરમાએ કહ્યું કે, રેલ માર્ગોના વિસ્તરણ પછી આસામથી દેશના અન્ય ભાગો વચ્ચે મુસાફર અને માલગાડીઓની અવરજવર વધશે. આનાથી રાજ્યની રેલ કનેક્ટિવિટી (રેલ જોડાણ) મજબૂત થશે અને પરિવહન વ્યવસ્થાને પણ ફાયદો થશે.

મુખ્યમંત્રી અનુસાર, રેલ નેટવર્ક (રેલ જાળ) ના વિસ્તરણથી રાજ્યના આર્થિક વિકાસ અને વ્યાપારિક ગતિવિધિઓને પણ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.

આ દરમિયાન, નગાંવ લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર રાજકીય મુદ્દો ઊભો કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ રાજ્યમાં કથિત ગેરકાયદેસર કબજેદારો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા બેદખલી અભિયાનને ચૂંટણીનો મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

હિમંત બિસ્વ સરમાએ દાવો કર્યો કે, કોંગ્રેસે નગાંવ પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ રાજકીય તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મુખ્યમંત્રીએ કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પર પણ નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો કે, ગોગોઈ ધિંગ વિસ્તારમાં બાંગ્લાદેશી મૂળના કહેવાતા ‘મિયાં’ સમુદાયના લોકોને સંરક્ષણ આપવાની વાત કરી રહ્યા છે.

હિમંત બિસ્વ સરમાએ દાવો કર્યો કે, કોંગ્રેસ બેદખલી અભિયાનને ચૂંટણીનો મુદ્દો બનાવીને રાજકીય ફાયદો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કથિત ગેરકાયદેસર કબજેદારોને બેદખલીથી બચાવવા માટે કોંગ્રેસના પક્ષમાં મતદાન કરવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમાના આ આરોપો પર કોંગ્રેસ તરફથી હાલમાં કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande