
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે, સ્ટેમ સેલ થેરાપીના નિયમનને લઈને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એડવાઇઝરી જારી કરી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, સ્ટેમ સેલ થેરાપીનો નિયમિત અને પ્રમાણભૂત સારવાર તરીકે ફક્ત તે જ રોગો અને પરિસ્થિતિઓમાં ઉપયોગ કરી શકાશે, જેને મંત્રાલયે મંજૂરી આપી છે.
મંત્રાલય દ્વારા 16 સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલી એડવાઇઝરીમાં જણાવાયું છે કે, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (એએસડી)ની સારવાર માટે કોઈપણ પ્રકારની સ્ટેમ સેલ થેરાપીને હાલમાં ફક્ત વિધિવત મંજૂર ક્લિનિકલ ટ્રાયલ હેઠળ જ કરી શકાશે. આ માટે 2017ની આઈસીએમઆર-ડીબીટી નેશનલ ગાઈડલાઈન્સ ફોર સ્ટેમ સેલ રિસર્ચ અને સમયાંતરે જારી કરાયેલા અન્ય સરકારી નિર્દેશોનું પાલન કરવું જરૂરી રહેશે.
આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશોને તમામ સંબંધિત રાજ્ય અને જિલ્લા નિયમનકારી સત્તાધિકારીઓ તેમજ સરકારી અને ખાનગી ક્લિનિકલ સંસ્થાઓ સુધી વ્યાપકપણે પહોંચાડવામાં આવે. ખાસ કરીને તે સંસ્થાઓને આ નિયમોનું પાલન કરવું પડશે જેઓ સ્ટેમ સેલ રિસર્ચ, સારવાર, પ્રચાર અથવા તેના ઉપયોગ સાથે સંકળાયેલા છે.
એડવાઇઝરીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, પ્રમાણ વગરની સ્ટેમ સેલ થેરાપી, જેમાં ઓટિઝમ માટે સ્ટેમ સેલ ઉપચાર પણ સામેલ છે, તેને નિયમિત, પ્રમાણભૂત અથવા વ્યાવસાયિક ક્લિનિકલ સેવા તરીકે રજૂ કરી શકાતી નથી.
આ એડવાઇઝરી ઉચ્ચતમ ન્યાયાલયના 30 જાન્યુઆરી, 2026ના યશ ચેરિટેબલ ટ્રસ્ટ અને અન્ય વિરુદ્ધ ભારત સરકારના કેસમાં આપવામાં આવેલા નિર્ણય પછી જારી કરવામાં આવી છે. કોર્ટે નિયમોનું પાલન ન કરવા પર વ્યાવસાયિક ગેરવર્તણૂક સહિત કાનૂની અને નિયમનકારી કાર્યવાહીની વાત કહી હતી.
મંત્રાલયે જણાવ્યું કે, નિયમોનું ઉલ્લંઘન થવા પર સંબંધિત ડોકટરો વિરુદ્ધ વ્યાવસાયિક ગેરવર્તણૂકની કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2010 હેઠળ સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરવા અને દંડ જેવી કાર્યવાહીની પણ જોગવાઈ છે.
જ્યારે, રાષ્ટ્રીય તબીબી આયોગે પણ 5 સપ્ટેમ્બર, 2026ની પોતાની એડવાઇઝરીમાં પુનરાવર્તન કર્યું છે કે, સ્ટેમ સેલ થેરાપીને પ્રમાણભૂત તબીબી સેવા તરીકે ફક્ત માન્ય રોગો અને સંકેતો માટે જ આપી શકાય છે. માન્ય મર્યાદાની બહાર સ્ટેમ સેલ થેરાપીનો પરવાનગી વગરનો ઉપયોગ, તેનું પ્રિસ્ક્રિપ્શન, પ્રચાર અથવા જાહેરાત વ્યાવસાયિક ગેરવર્તણૂક ગણી શકાય છે.
આયોગે રાજ્ય તબીબી પરિષદોને પણ જણાવ્યું છે કે, નિયમોના ઉલ્લંઘનની ફરિયાદોની તપાસ કરવામાં આવે અને યોગ્ય પ્રક્રિયા પછી ઉલ્લંઘન સાબિત થવા પર સંબંધિત ડોક્ટર વિરુદ્ધ નિયમ મુજબ શિસ્તભંગના પગલાં લેવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ