
નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.). પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં પણ સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તેજીના કારણે બ્રેન્ટ ક્રૂડ આજે 97 ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરી ગયું. આ જ રીતે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ આજે 92 ડોલર પ્રતિ બેરલના સ્તરથી ઉપર કારોબાર કરતું જોવા મળી રહ્યું છે.
આજે બ્રેન્ટ ક્રૂડે તેજી દર્શાવતા 96.90 ડોલર પ્રતિ બેરલના સ્તરેથી કારોબારની શરૂઆત કરી. જોકે, ટ્રેડિંગ શરૂ થતા જ તે લપસીને 96.34 ડોલર પ્રતિ બેરલના સ્તર સુધી આવ્યું, પરંતુ થોડીવાર પછી તેની ચાલમાં તેજી આવી. ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યા સુધીમાં બ્રેન્ટ ક્રૂડ 97 ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરીને 97.43 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયું. સવારે 9:45 વાગ્યા સુધીનો કારોબાર થયા બાદ બ્રેન્ટ ક્રૂડ 1.14 ટકાની તેજી સાથે 97.38 ડોલર પ્રતિ બેરલના સ્તરે કારોબાર કરી રહ્યું હતું.
આ જ રીતે ડબ્લ્યુટીઆઈ ક્રૂડે આજે 0.71 ડોલર પ્રતિ બેરલ ઉછળીને 92.19 ડોલર પ્રતિ બેરલના સ્તરેથી કારોબારની શરૂઆત કરી. ઓપનિંગના તરત જ બાદ તે ઘટીને થોડીવાર માટે 91.70 ડોલર પ્રતિ બેરલના સ્તર સુધી આવ્યું, પરંતુ ત્યારબાદ તેની ચાલમાં તેજી આવી ગઈ. થોડી જ વારમાં તે ઉછળીને 92.57 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયું. જોકે, બાદમાં તેના ભાવમાં નજીવો ઘટાડો પણ નોંધાયો. ભારતીય સમય અનુસાર સવારે 9:45 વાગ્યે ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 1.11 ટકાના ઉછાળા સાથે 92.50 ડોલર પ્રતિ બેરલના સ્તરે કારોબાર કરી રહ્યું હતું.
ટી.એન.વી. ફાઇનાન્સિયલ સર્વિસિસના સીઈઓ તારકેશ્વર નાથ વૈષ્ણવનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં આવેલી તેજી ભારત જેવા ઓઇલ આયાતકાર દેશ માટે અર્થતંત્રના મોરચે મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. ક્રૂડ ઓઇલની વધેલી કિંમત લાંબા સમય સુધી 80 ડોલર કે તેથી ઉપરના સ્તરે જળવાઈ રહેવાથી ભારતના ચાલુ ખાતાની ખાધમાં વધારો થઈ શકે છે. આ સાથે જ, તેના કારણે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક પણ પ્રભાવિત થઈ શકે છે.
તેમનું કહેવું છે કે, ક્રૂડ ઓઇલની વધેલી કિંમત ભારતીય ચલણને નબળું પાડી શકે છે, મોંઘવારી વધારી શકે છે અને ફોરેન કેપિટલ આઉટફ્લો (વિદેશી મૂડીનો પ્રવાહ બહાર જવો) ને વધુ વધારી શકે છે. આ જ રીતે અર્થતંત્ર પર વધતા દબાણથી શેરબજારમાં અનિશ્ચિતતા આવી શકે છે, કારણ કે સરકારને સબસિડી, વ્યાજ દર અને રૂપિયા-ડોલર વિનિમય દર પર પડનારી અસર વિશે કડક નિર્ણયો લેવા પડી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ