સુરત, 11 ઓક્ટોબર (હિ.સ.)-સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 80મું સફળ અંગદાન થયું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલાઈગામ ખાતે રહેતા મિત્ના પરિવારના બ્રેઈનડેડ દાદાના બે કિડની અને એક લીવર દાન થતા ત્રણ જરૂરિયાતમંદ નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલાઈગામ ખાતે રહેતા73 વર્ષીય લક્ષ્મણભાઇ મિત્ના ઘર ઉપર પતરા મુકવા માટે ચઢયા હતાં. ત્યારે ચક્કર આવવાથી પડી ગયા અને બેભાન થઇ ગયાં હતા. જેથી પરિવારજનો દ્વારા ૧૦૮ મારફતે ભીલાડ સ્થિત હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં લક્ષ્મણભાઇને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત ગંભીર જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. લક્ષ્મણભાઇની હાલત વધુ ગંભીર જણાતા તા.૮મી ઓક્ટોબરે વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તબીયત લથડતા ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં સઘન સારવાર બાદ તા.૧૦મી ઓક્ટોબરના રોડ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
મિત્ના પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાઠુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. સ્વ. લક્ષ્મણભાઈની દિકરી અને પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી.
સ્વ.લક્ષ્મણભાઈના દીકરીએ કહ્યું હતું કે, પિતાના મૃત્યુંનુ ખુબજ દુ:ખ છે. મારા પિતાના અંગો જે છેલ્લી પળે પણ કોઇને નવું જીવન આપી શકે તો અમે સહમત છીએ. બીજાને દાન મળશે એમાં મારા પિતા જીવીત રહેશે અને અમને યાદ આવશે કે, એ કોઇ જરૂરતમંદ વ્યકિતમાં જીવે છે.
આજે બ્રેઈનડેડ સ્વ.લક્ષ્મણભાઈના લીવર અને બે કિડની દાન મેળવી અમદાવાદ આઈકેડી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 80મું અંગદાન થયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે