પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)વિકાસ સપ્તાહ–2025 ની ઉજવણી અંતર્ગત પોરબંદર શહેરમાં “વિકાસ પદયાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં પોરબંદરના માણેક ચોક ખાતેથી લીલી ઝંડી બતાવીને શરૂઆત કરાવવા માંઆવી હતી.
આ પદયાત્રા મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિમંદિર પાસે આવેલ માણેક ચોકથી શરૂ થઈ ચોપાટી રોડ પર આવેલા ગાંધી સ્મૃતિ ભવન સુધી યોજાઈ હતી. પદયાત્રા દરમિયાન વિવિધ સૂત્રોચાર સાથે રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ અવસરે મોટી સંખ્યામાં યુવાધન તથા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો, જેનાથી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ગાંધીજીના સ્વપ્નના આત્મનિર્ભર ભારતનો પ્રેરણાદાયક સંદેશ જનસામાન્ય સુધી પહોંચ્યો હતો.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, પોરબંદર મહાનગરપાલિકા કમિશનર હસમુખભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya