ગાંધીનગર, 11 ઓક્ટોબર (હિ.સ.): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજરોજ દ્વારકા ખાતે પધાર્યા હતા. રાષ્ટ્રપતિએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતાં.
રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશને ભારતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
રાષ્ટ્રપતિએ ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક પાદુકાપૂજન કરી ધન્યતા અનુભવી હતી.
દ્વારકાધીશ મંદિર ખાતે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, જિલ્લા કેલકટર રાજેશ તન્ના, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી અમોલ આવતે, વહીવટદાર તથા નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણએ રાષ્ટ્રપતિને ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબતી, ગોલ્ડ પ્લેટેડ દ્વારકાધીશનું સ્વરૂપ તથા પ્રસાદ આપી સ્વાગત કર્યું હતું.
રાષ્ટ્રપતિ સાથે તેમના દીકરી ઈતિશ્રી મુર્મૂ અને મહાનુભાવો જોડાયાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ