ગાંધીનગર, 11 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના ૨૪ સફળ વર્ષોની ઉજવણી નિમિત્તે તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન સમગ્ર રાજ્યમાં 'વિકાસ સપ્તાહ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવા પંચાયત-ગ્રામ વિકાસ વિભાગ દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી દરેક જિલ્લા દીઠ એક 'વિકાસ રથ'નું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા તા. ૦૭ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ વિવિધ જિલ્લામાં ૩૪ વિકાસ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત તા. ૧૦ ઓકટોબર, ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાક સુધીમાં વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં રૂ. ૧૧૯.૩૭ કરોડથી વધુના ૨,૧૮૬ કામોના લોકાર્પણ તેમજ રૂ. ૧૦૬.૧૧ કરોડથી વધુના ૨,૧૫૫ કામોના ખાતમુહૂર્ત એમ મળી કુલ રૂ. ૨૨૫.૪૮ કરોડથી વધુના ૪,૩૪૧ જેટલા કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિકાસ રથના માધ્યમથી જ વિવિધ યોજનાના ૧૩,૧૨૦ જેટલા લાભાર્થીઓને કુલ રૂ. ૧૯.૮૬ કરોડની સહાય વિતરણ પણ કરવામાં આવી હતી.
વધુમાં, આ વિકાસ રથ સાથે ૧૧૩ જેટલા રાજ્ય મંત્રી મંડળના સભ્યો, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ સહિત ૩,૪૪૮થી વધુ સ્થાનિક પદાધિકારી-અધિકારીઓ તેમજ ૮૧ હજાર કરતાં વધુ નાગરીકો જોડાયા હતા તેમજ વિકાસ રથ સાથે જોડાયેલા સર્વેએ “ભારતના વિકાસની પ્રતિજ્ઞા” પણ લીધી હતી.
અત્રે નોંધનીય છે કે, વિકાસ સપ્તાહ દરમિયાન ગુજરાતના ગામડે-ગામડે ફરીને આ વિકાસ રથ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ સહાય પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત વિકાસ રથ દ્વારા નાગરિકોને ગુજરાત સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોની માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ રથના માધ્યમથી રાજ્યના નાગરિકો ગુજરાતના સર્વગ્રાહી વિકાસની સાફલ્ય ગાથાથી પરિચિત થઇ રહ્યા છે. ગુજરાત સરકારની આ વિકાસ યાત્રામાં રાજ્યના યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત તમામ વર્ગોને જોડવામાં આવી રહ્યો છે, જેથી “વિકસિત ભારત@૨૦૪૭”ના સંકલ્પને સાકાર કરવામાં દરેક નાગરિક પોતાનું મહત્તમ યોગદાન આપી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ