ગાંધીનગર, 6 ઓક્ટોબર (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી વિમુક્ત જાતિઓ ના અમદાવાદમાં યોજાયેલા રાજ્ય સ્તરીય મહાસંમેલન' માં સ્પષ્ટ પણે કહ્યું હતું કે જેને કોઈ પૂછતું પણ ન હતું તેવા અંત્યોદય , ગરીબ ,વંચિતો ને મોદી સાહેબે પૂજ્યા છે.
ડીએનટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સંમેલનમાં રાજ્યભરમાંથી વિચરતી વિમુક્ત જાતિઓના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, વિચરતી- વિમુક્ત જાતિનો સમાજ આગળ વધશે તો ક્યારે વધશે એ ભૂતકાળમાં સવાલ હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવું સક્ષમ નેતૃત્વ મળ્યું અને દરેક વ્યક્તિ-સમાજને સાથે રાખીને સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ નો ધ્યેય પાર પડ્યો છે. તેમણે નાનામાં નાના માણસનો વિચાર કરીને સરકારી યોજનાઓ કે નીતિઓ બનાવી છે અને વિકસિત ભારતના નિર્માણ માટે છેવાડાના અને મધ્યમ વર્ગના માનવી ને કેન્દ્ર સ્થાને રાખીને વિકાસ સાથે જોડ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી અને વિમુક્ત જાતિઓના બાળકોને શિક્ષણ આપવા ,ભણાવવા પર ભાર મુકતા કહ્યું કે, તમારા દીકરા-દીકરી ભણીને આગળ વધે એ માટે સરકારે ખુબ સારી યોજનાઓ બનાવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં વિચરતી-વિમુક્ત જાતિના 27 લાખથી વધુ લાભાર્થીઓને 297 કરોડ રૂપિયાની રકમ ની શિષ્યવૃત્તિની સહાય ચૂકવવામાં આવી છે અને 8448 જેટલાં લાભાર્થીઓને 105 કરોડ રૂપિયાની લોન સહાય પૂરી પાડવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, અત્યારે જે પ્રમાણે દેશ અને દુનિયાની ડિમાન્ડ અને સમયની માંગ છે તે પ્રમાણે કદમથી કદમ મિલાવી દીકરા-દીકરીઓ ભણીને આગળ વધી રહ્યા છે એમાં જ્યાં જરૂર પડે ત્યાં સરકાર તમારી સાથે ઉભી રહેવા તૈયાર છે.
તેમણે આ સમાજ ની બહેનો માતાઓને પણ સ્વ સહાયજૂથ જેવી યોજનાઓ નો લાભ લઇ આત્મ નિર્ભર બનવા પ્રેરણા આપી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે તમામ સમાજો એ પણ તેમાં જોડાવાનું છે.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિચરતી વિમુક્ત જાતિના લોકોને કાયમી સરનામું મળી રહે તેવા આશયથી 'ઘરનું ઘર' આપવાની શરૂઆત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, 28 જેટલી વિચરતી અને 12 જેટલી વિમુક્ત જાતિ મળી કુલ 40 જેટલી જાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે ઘણી પછાત હોય છે ત્યારે રાજ્ય સરકારે 2015માં આવા લોકો માટે નિગમની રચના કરી હતી.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પદ્મશ્રી ભાનુભાઈ ચિતારાનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કે.લક્ષ્મણ, રાજ્યસભા સાંસદ અને પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ મયંક નાયક, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, ભરતભાઈ પટણી, પ્રવિણભાઈ ધુગે, સાગરભાઈ રાયકા તથા વિચરતી વિમુક્ત જાતિઓના રાજ્યભરમાંથી પધારેલા આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ