-ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ દ્વારા, વિસ્ફોટનું
આયોજન કરવાના દાવા પાયાવિહોણા છે: પોલીસ કમિશનર
કાનપુર, નવી દિલ્હી, ૦9 ઓક્ટોબર (હિ.સ.)
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, બુધવારે થયેલા
વિસ્ફોટની પ્રાથમિક તપાસમાં ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ હોવાનું બહાર આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સાથે કોઈ
આતંકવાદી જોડાણ નથી. ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) ની એક ટીમ
ગુરુવારે તપાસ માટે પહોંચી હતી. પોલીસ કમિશનર રઘુવીર લાલે, ઘટના સંદર્ભે કોતવાલી એસીપીને હટાવી દીધા
હતા અને મુલગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત પાંચ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ
કર્યા હતા.
પોલીસ કમિશનર રઘુવીર લાલે જણાવ્યું હતું કે,” આ ઘટના સાથે
કોઈ આતંકવાદી જોડાણ નથી. ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ દ્વારા વિસ્ફોટનું આયોજન
કરવામાં આવ્યું હોવાનો દાવો પાયાવિહોણો છે. વિસ્ફોટના સ્થળે એક દુકાનમાંથી એક
ક્વિન્ટલ ફટાકડા મળી આવ્યા હતા, અને બીજા ગોદામમાંથી ત્રણ ક્વિન્ટલ મળી આવ્યા હતા. આ
સંદર્ભે, લાઇસન્સ વિનાના
ફટાકડા રાખનારાઓ સામે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનામાં
સંડોવાયેલા બાર વ્યક્તિઓની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી છે. ઘટનાસ્થળેથી બે
સ્કૂટર, જેમાંથી એક
ચોરાયું હતું, જપ્ત કરવામાં
આવ્યા છે.”
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે,” ગેરકાયદેસર ફટાકડા
સંગ્રહના કેસમાં મૂળગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત, પાંચ પોલીસ કર્મચારીઓને
સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સહાયક પોલીસ કમિશનર (એસીપી) ને પણ તાત્કાલિક
અસરથી દૂર કરવામાં આવ્યા છે.”
ઉલ્લેખનીય છે કે, બુધવારે સાંજે 7:15 વાગ્યે, મૂળગંજ પોલીસ
સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવેલા મેસ્ટન રોડ પર મિશ્રી બજારમાં રમકડાની દુકાનની
સામે બે સ્કૂટર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં આશરે આઠ લોકો ઘાયલ થયા હતા. તેમાંથી
ચારને ગંભીર હાલતમાં તાત્કાલિક લખનૌ રિફર કરવામાં આવ્યા હતા. બાકીના ચારમાંથી બેને
નાની ઇજાઓ થઈ હતી અને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે
હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
હિન્દુસ્થાન સમાચાર / દીપક / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ