
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) પાટણ માર્કેટયાર્ડ ગેટ પાસે જાહેર રોડ પર બિલ કે આધાર-પુરાવા વગર અનાજની ખરીદી થઈ રહી હોવાની માહિતી મળતાં જિલ્લા પુરવઠા વિભાગે ઓચિંતો દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન બે વેપારીઓ પાસેથી સંતોષકારક દસ્તાવેજો ન મળતા તંત્રએ કુલ 1188 કિલોથી વધુ અનાજ, જેમાં 616.31 કિ.ચોખા, 424.91 કિ.ઘઉં અને 147.29 કિ. બાજરીનો સમાવેશ થાય છે, જપ્ત કર્યો હતો. આ જથ્થાની કુલ કિંમત ₹32,809 થાય છે.
પુરવઠા અધિકારી હેમાગિની ગુર્જર મુજબ જપ્ત કરાયેલો મુદ્દામાલ સરકારી ગોડાઉનમાં મુકવામાં આવ્યો છે અને વેપારીઓને નોટિસ આપી છે. તેમના જવાબને આધારે આગળની કાર્યવાહી નક્કી થશે, સાથે જ આ અનાજનો જથ્થો ક્યાં મોકલાતો હતો તેની પણ તપાસ શરૂ કરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ