
રાજકોટ, 22 નવેમ્બર (હિ.સ.) રાજકોટ જિલ્લામાં ઓક્ટોબર-2025 માસમાં થયેલ કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલ નુકસાન અન્વયે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ-ઓકટોબર-2025માં રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો
લાભ મેળવવા માટે ફોર્મ ભરવા માટે 14 નવેમ્બરના રોજ બપોરે 12 કલાકથી 15 દિવસ માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, પડધરી, જસદણ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ગોંડલ, કોટડાસાંગાણી, લોધિકા અને વિછીયા તાલુકાના ખેડૂતભાઈઓને કૃષિ રાહત પેકેજ-ઓકટોબર-2025નો લાભ મળશે. આ કૃષિ પેકેજનો લાભ મેળવવા માટે નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂત ખાતેદાર દ્વારા વાવેતર કરેલ પાકોમાં નિયત ધોરણો અનુસાર 33% કે તેથી વધુ પાક નુકસાન થયેલ હોય તેમને digitalgujarat પોર્ટલ પર ગ્રામ્ય કક્ષાએ VCE મારફત જરૂરી સાધનિક કાગળો જેવાકે ગામનો નમૂનો 8-અ, તલાટીનો વાવેતર અંગેનો દાખલો/ગામ નમુના નં 7/12, આધાર કાર્ડની નકલ, બેન્ક પાસબુકના પ્રથમ પાનાની નકલ (IFSC કોડ સાથે), મોબાઈલ નંબર, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે
અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો “ના-વાંધા અંગેનો સંમતિ પત્ર” સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે. “કૃષિ રાહત પેકેજનો લાભ મળવા પાત્ર હોય તેવા ખેડૂતો ઉપર દર્શાવેલ જરૂરી દસ્તાવેજો સાથે પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ