
જૂનાગઢ, 22 નવેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 14 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થી ન હોય તેવા યુવક-યુવતીઓ માટે ‘ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવે છે. જે અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા એક દિવસની રાજ્યકક્ષા ગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી—2026 માં ગીરનાર જૂનાગઢ ખાતે યોજવામાં આવશે
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીઓ કે જેઓ 31 ડિસેમ્બર,2025 ના રોજ 14 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેમણે પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી અરજી ફાર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને જરૂરી આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢને 30 નવેમ્બર સુધીમાં મોકલી આપવાનું રહેશે.
આ ઉપરાંત વર્ષ 2025-26 માં રાજકોટ ખાતે ઓસમ પર્વત ચોટીલા, ઈડરનો ડુંગર , પાવાગઢનો ડુંગર તથા વલસાડના પારનેરા ડુંગર ખાતે આયોજિત થનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જુનિયર/ સિનિયર વિભાગમાં 1 થી 10 ક્રમાંકે વિજેતા થયેલ યુવક/યુવતીઓએ રાજ્યકક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે નહી. તે વિજેતા સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં” સીધો જ પ્રવેશ મેળવી શકશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે પોતાના ખર્ચે સ્પર્ધાના સ્થળ જૂનાગઢ ખાતે આવવાનું રહેશે, સ્પર્ધા દરમ્યાન વિનામૂલ્યે નિવાસ, ભોજન તેમજ સ્પર્ધામાં ભાગ લેવા બદલ સ્પર્ધકને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આયોજક જિલ્લાને મળેલ અરજીઓ પૈકી આ સ્પર્ધા માટે પસંદગી પામનાર યુવક-યુવતીઓને જિલ્લા યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ દ્વારા ટેલીફોનિક જાણ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ