
ગીર સોમનાથ, 22 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેના રક્ષણ બાબતે જિલ્લાકક્ષાની અમલીકરણ સમિતિની બેઠક આજે યોજાઇ હતી.
છેલ્લા સેવાસદન, ઈણાજ ખાતે યોજાયેલ આ બેઠકમાં કલેક્ટરએ જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓને વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય સંબંધી લક્ષણોની જાણકારી શિક્ષકો સુધી પહોંચે અને વર્ષમાં બે વખત તાલીમ આપવા જણાવ્યું હતું.
વર્ગખંડમાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓના વ્યવહાર પરથી વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે તેવું આયોજન કરવા સાથે જ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તકેદારી રાખવામાં આવે તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય સબંધી વિવિધ મુદ્દાઓ અંતર્ગત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ સેલની રચના, વિદ્યાર્થીમિત્રની નિમણૂક, કાઉન્સેલિંગ, હેલ્પલાઇન નંબર ડિસ્પ્લે કરવા વગેરે બાબતે જરૂરી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ, નાયબ પોલીસ અધિક્ષક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પી.એન. બરુઆ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પરમાર, યુનિવર્સિટીના પ્રતિનિધિ સહિતના આરોગ્ય અને શિક્ષણ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ