
જામનગર, 23 નવેમ્બર (હિ.સ.) : ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટરમેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA)ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર, જામનગર દ્વારા તા.૨૧ નવેમ્બરના રોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોકડ્રિલ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે.
આ ડ્રિલમાં જિલ્લા વહીવટી તંત્રની સંકટના સમયે ઝડપી અને અસરકારક પ્રતિભાવ આપવાની ક્ષમતાનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. રિલાયન્સ રિફાઇનરીના ટેન્ક ફાર્મમાં આગ લાગવાની કાલ્પનિક પરિસ્થિતિને અનુલક્ષીને આ ડ્રિલ યોજાઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ વહીવટીતંત્ર, ઉદ્યોગ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેના સંકલન અને સહકારની સજ્જતા ચકાસવાનો હતો.
દિલ્હી સ્થિત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારી આદિત્યકુમાર અને તેમની ટીમે સમગ્ર ડ્રિલ દરમિયાન ઉપસ્થિત રહી હતી. આ કવાયતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો, ભારતીય સેનાની ત્રણેય પાંખ, કોસ્ટ ગાર્ડ, NDRF, SDRF અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.
ડ્રિલ દરમિયાન તમામ વિભાગોએ આફતની પરિસ્થિતિમાં અસરકારક પ્રતિભાવ, ત્વરિત બચાવ કામગીરી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટેની કવાયત હાથ ધરી હતી જે ખૂબ જ સફળ રહી હતી.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ યુનિટ ખાતેથી અગ્ર સચિવ જયંતિ રવિ તેમજ રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ તંત્રને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું જ્યારે ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ જામનગર ખાતેથી જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ તથા સંલગ્ન વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહી સમગ્ર ડ્રિલનું સંકલન કર્યું હતું.
સાથે જ રિલાયન્સ રિફાઈનારી ખાતે નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર તથા લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવારે ઇનસીડન્ટ કમાન્ડર તરીકેની ફરજો બજાવી હતી. મોકડ્રિલના સફળ સમાપન બાદ જિલ્લા કલેકટર કેતન ઠક્કરે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ મોકડ્રિલ દ્વારા જિલ્લા વહીવટી તંત્રની કોઈપણ પ્રકારના ડિઝાસ્ટરને પહોંચી વળવાની ક્ષમતા પુરવાર થઈ છે.
અમારા વહીવટી તંત્રની સજ્જતાની આ કસોટી સફળ રહી છે, અને અમે જિલ્લાના નાગરિકોના હિત માટે કોઈપણ આફતને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ.તેમણે ઉમેર્યું કે, વર્ષ ૨૦૧૯ પછી યોજાયેલી આ રાષ્ટ્રીય કક્ષાની ડ્રિલ અમારા માટે એક મહત્વપૂર્ણ અનુભવ બની રહી છે, જે આગામી સમયમાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.
આ સફળ મોકડ્રિલ એ દર્શાવે છે કે, જામનગર જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ મોટા ઔદ્યોગિક કે રાસાયણિક અકસ્માતનો સામનો કરવા માટે માત્ર તૈયાર જ નથી, પણ વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય એજન્સીઓ સાથે ઉત્તમ સંકલન કરવાની ક્ષમતા પણ ધરાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt