



પોરબંદર, 4 નવેમ્બર (હિ.સ.) પોરબંદરના બારમાસી બંદરના મુખની ચેનલની ડ્રેજીંગમાં રૂપિયા 21 કરોડના કૌભાંડ થયા હોવાના માછીમાર આગેવાનોએ ગંભીર આક્ષેપો કર્યા છે.વર્ષ 2022 માં પોરબંદર મત્સ્ય બંદર ખાતે બોટ પાર્કિંગ, બર્થીગ, વાફ હોલ તથા ડ્રેજીંગ જેવા બંદરના અપગ્રેડેશનના કામને સરકાર દ્વારા 9-2-2022ના ઠરાવથી રૂપિયા 60 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જે પૈકીના ડ્રેજીંગના કામમાં રૂપિયા 21 કરોડના કૌભાંડ થયા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એક તરફ પોરબંદરનું બંદર દિવસેને દિવસે ભાંગી રહ્યું છે. માછીમારોનું આવકમાં ઘટાડો અને બેન્ક લોનના દેણા માથે છે અને કાગળ પર રૂપિયા 21 કરોડના ટેન્ડરો થાય પણ છે અને ચુકવણી પણ થાય છે તેવા સણસણતા આક્ષેપો માછીમાર આગેવાન અને સામાજિક કાર્યકર બાવન બદારશાહીએ કર્યા છે. બાવન બદારશાહીએ મીડિયાના માધ્યમથી એમ પણ કહ્યું છે કે, તેમણે કરેલી આર.ટી.આઈ.માં વિવિધ જવાબો પણ મળ્યા છે અને વર્ષ 2022માં જે ડ્રેજીંગના કામો પાસ થયા હતા તે ચોપડે થઇ ગયા છે અને ચુકવણી પણ થઈ ગઈ છે. તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. બાવનભાઈએ વધુમાં જણાવ્યું છે કે, આ ડ્રેજીંગનું કામ અસ્માવતી ઘાટથી લઈ છેટ લકડી બંદર સુધી આખી જે ચેન છે જ્યાંથી બોટોની અવર-જવર છે ત્યાં આખે આખી ચેનલની સફાઈનું ટેન્ડર મંજુર થયું હતું પરંતુ આ ક્યાં કૌભાંડીઓ છે કે જે માછીમારનું ભલું જોઈ શકતા નથી. તેમણે નેતાઓ અધિકારીઓ વિરુદ્ધ સવાલો પણ ઉઠાવ્યા છે અને સરકારને રજુઆત કરી છે કે, 21 કરોડની ચુકવણી જે કિશોર પ્રોજેક્ટ નામની કંપનીને કરવામાં આવી છે તે તમામ રકમ પરત લેવામાં આવે અને બંદરમાં ખરા અર્થમાં ડ્રેજીંગ કરવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya