
અમદાવાદ,29 ડિસેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠનની જાહેરાત ગઇકાલે કરવામાં આવી. આજે 29 ડિસેમ્બર સોમવારના રોજ પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારો ગાંધીનગર કમલમ ખાતે પોતાનો હોદ્દો સંભાળ્યો છે.જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પેંડા ખવડાવી નવા હોદ્દેદારોનું મીઠું મોં કરાવ્યું, બેઠકમાં હોદ્દેદારો પાસે પરિચય પત્રક ભરાવાયા. નવ નિયુક્ત મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારો સવારથી જ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતાં. ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં યોજાયેલી તમામ હોદ્દેદારોની બેઠક પૂર્ણ થઈ છે. ત્યારબાદ સીએમ,ડેપ્યુટી સીએમ અને વિશ્વકર્મા સાથેની બેઠક પણ પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં જૂના હોદ્દેદારોને પણ રાખવામાં આવ્યાં હતાં. નવા સંગઠનના માળખાની રચના અને કામગીરીને લઈને આગામી દિવસોમાં ચર્ચા કરાશે.
ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે જણાવ્યું હતું કે આજે ભાજપ નવનિયુક્ત હોદ્દેદારો સાથે પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી સાથે બેઠક થઈ જેમાં પરિચય થયો છે. જવાબદાર હોદ્દેદાર તરીકે કેવી રીતે સંગઠન મજબૂત કરવું જોઈએ. ગુજરાત સરકારે જે વિકાસ પ્રજાને આપ્યો છે જે લોકો સુધી પહોંચાડવુ જોઈએ જેમાં તમારી કામગીરી શું છે. તેનું માર્ગદર્શન આપ્યું હતું.
આજે મુખ્ય ચર્ચા નવી જવાબદારી સોંપવામાં આવી છે તેમાં પાર્ટીને મજબૂત કરવા માટે અને સરકારને કેવી રીતે મદદ કરી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભાજપ દરેક કાર્યક્રમમાં માટે તૈયાર હોય છે. વિવિધ મોરચાની જવાબદારી અપાઈ છે જેમાં જુના અને નવા હોદ્દેદારોની વચ્ચે સંકલન કરી કામગીરી થશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ