
- તાલીમ દરમિયાન ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, તેનું મહત્વ તથા તેના ફાયદાઓ અંગે, રવિ ઋતુપાક પૂર્વેની તૈયારીઓ અંગે માહિતી અપાઈ
રાજપીપલા,9 ડિસેમ્બર (હિ.સ.) નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા હેતુસર રાજપીપલા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે નાંદોદ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોમિત્રો માટે પ્રાકૃતિક કૃષિ અવેરનેસ અને તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ તાલીમ દરમિયાન જિલ્લા આત્મા પ્રોજેકટ ડાયરેકટર ડી.કે.સિનોરા અને આસિસ્ટન્ટ ડાયરેકટર ભૌમિક પંચોલી દ્વારા ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, તેનું મહત્વ તથા તેના ફાયદાઓ અંગે, રવિ ઋતુપાક પૂર્વેની તૈયારી તેમજ જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની પધ્ધતિઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા આત્મા પ્રોજેકટના સહયોગથી જિલ્લાનાં ખેડૂતમિત્રો માટે પ્રાકૃતિક કૃષિલક્ષી વિવિધ તાલીમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે 8 ડિસેમ્બરના રોજ નાંદોદ તાલુકાનાં તરોપા, ખામર, પ્રતાપનગર, ધમણાચા સહિત મોટા રાયપરાના 66 થી વધુ ખેડૂતમિત્રો તાલીમમાં જોડાયા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ