ગાંધીનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને સંખેડા તાલુકામાં મંજૂર થયેલા રસ્તાઓના કામો અંગેના પ્રશ્નની વિગતો આપતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કુલ 152 કરોડ રૂપિયાના ખર્ચે 114 કામો મંજૂર કરવામાં આવ્યા છે.
આ અંગે વિગતવાર માહિતી આપતાં મંત્રી એ જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 68, જ્યારે સંખેડા તાલુકાના 46 મળી 114 કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ રસ્તાઓની કુલ લંબાઈ 287 કિમી જેટલી થાય છે. જેનાથી આશરે 174 ગામના એક લાખથી વધુ લોકોને લાભ મળશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 152 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે પૈકી આઠ કામ સંપૂર્ણ થઈ ગયા છે, જ્યારે અન્ય 56 કામો હાલ પ્રગતિમાં છે. આ સિવાયના અન્ય 50 જેટલાં કામ સત્વરે હાથ ધરવામાં આવનાર છે તેમ મંત્રી એ ઉમેર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ