ગાંધીનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત રાજ્યનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં રજૂ કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર “પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય, પર્યાવરણને અનુકૂળ અર્થતંત્ર” માટે વન અને વન્યજીવના સંરક્ષણ સાથે નેટ ઝીરોનો લક્ષ્યાંક હાંસલ કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે કટીબદ્ધ છે.
વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં વધારો કરવામાં આપણું રાજ્ય દેશમાં મોખરે છે. રાજ્યમાં વન કવચ હેઠળ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણમાં ખૂબ જ સારી સફળતા મળેલ છે.
ગુજરાત રાજ્યની અસ્મિતા એવા એશિયાઇ સિંહના સંવર્ધન માટે એક સમગ્ર અને સંકલિત કાર્યયોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે ₹655 કરોડની જોગવાઇ.
વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે ₹563 કરોડની જોગવાઇ.
વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે ₹416 કરોડની જોગવાઇ.
વળતર વનીકરણ તેમજ અન્ય વન વિકાસલક્ષી કામગીરીઓ માટે ₹372 કરોડની જોગવાઇ.
વનોની ગીચતા વધારવા ટકાઉ વન વ્યવસ્થાપન માટે JICA પ્રોજેકટ હેઠળ ₹225 કરોડની જોગવાઇ.
હરિત વન પથ યોજના તેમજ મોટા રોપાઓ દ્વારા વૃક્ષારોપણ માટે ₹90 કરોડની જોગવાઇ.
શહેરી વિસ્તારને સુશોભિત કરી હરિયાળુ બનાવવા વન કવચ મોડલ દ્વારા વાવેતર કરવા ₹50 કરોડની જોગવાઇ.
એક જ પ્લેટફોર્મ પરથી વન વિભાગની પ્રવૃતિઓથી માહિતગાર થવા, ITના માધ્યમથી રેલ્વે ટ્રેક પર થતા સિંહના અકસ્માત નિવારવા તથા દક્ષિણ ગુજરાતમાં થતા વન્યપ્રાણી-માનવ વચ્ચે ઘર્ષણ ઘટાડવા કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટની સ્થાપના કરવામાં આવશે. જે માટે ₹40 કરોડની જોગવાઇ.
સામાજિક વનીકરણ ક્ષેત્રે ખાતાની નર્સરીઓમાં મોટા રોપા તૈયાર કરવા માટે ₹38 કરોડની જોગવાઇ.
રાજ્યના દરિયાકાંઠાને ગ્રીન વોલ થકી સુરક્ષિત કરવાના હેતુથી શરુ કરાયેલ ‘મિષ્ટી કાર્યક્રમ’(મેન્ગ્રોવ વાવેતર)ના અમલીકરણમાં ગુજરાત પ્રથમ ક્રમે રહેલ છે. જે માટે ₹10 કરોડની જોગવાઇ.
ઇકો સેન્સિટીવ ઝોનમાં આવેલ ગામોમાં ઇકો ડેવલપમેન્ટની કામગીરી માટે ₹9 કરોડની જોગવાઇ.
પડાલા બેટ, કોરીક્રીક વિસ્તારને ટુરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા તેમજ બેટ દ્વારકા ડેવલપમેન્ટ માટે આયોજન.
કચ્છ વિસ્તારના ચાડવા રખાલ ખાતે હેણોતરો(Caracal) કેપ્ટિવ બ્રિડીંગ સેન્ટર અને ડીસા ખાતે નવીન પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે આયોજન.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ