ગીર સોમનાથ 28 મે (હિ.સ.) પોષણ, કાળજી અને યોગ્ય સારવાર થકી દરેક બાળકને સુપોષિત બનાવવા માટે ઈણાજ જિલ્લા પંચાયતના સભાખંડમાં પોષણ સંગમ કાર્યક્રમ યોજાયો હતો. આંગણવાડીમાં નોંધાયેલ તમામ બાળકોને તંદુરસ્ત બનાવવાના અભિયાન અંતર્ગત 'પોષણ સંગમ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પોષણ સંગમ એપ્લિકેશન, પોષણ સંગમ મોડ્યુલર, પોષણ સંગમ પત્રક અને વાલી કાર્ડ વિશે ઉપસ્થિત સર્વે આંગણવાડી બહેનોને અવગત કરાવવામાં આવ્યાં હતાં.
એન.એન.એમ. યોજના નાયબ નિયામક શ્રી નેહા કંથારિયાએ જણાવ્યું હતું કે, બાળકોને સુપોષિત બનાવવામાં જનભાગીદારી ખૂબ જ મહત્વની છે. પોષણને માત્ર ખોરાક જ નહીં, પરંતુ જીવનશૈલી બનાવવાની જરૂર છે. યોગ્ય પોષણ, જરૂરી કાળજી અને સમયે સારવાર થકી સમગ્ર જિલ્લાના બાળકોને સુપોષિત બનાવી શકાશે.
સમગ્ર જિલ્લાના ૬ વર્ષ સુધીના તમામ બાળકોનું નિયમિત રીતે વજન-ઉાંચાઇ માપવા સહિતની બાબતો પર ભાર મૂકી અને ભૂખ પરીક્ષણ, આરોગ્યની તપાસ અને આ તમામ બાબતોના આધારે યોગ્ય સ્તરે પોષણ અને આરોગ્યની મદદ પહોંચાડીને અતિ કુપોષિત બાળકોને સુપોષિત કરવામાં આવશે. તેમ તેમણે ઉમેર્યું હતું.
'પોષણ સંગમ કાર્યક્રમ'ની રૂપરેખા આપતાં રાજકોટ વિભાગ નાયબ નિયામક પૂર્વિ પંચાલે જણાવ્યું હતું કે, પોષણ સંગમ કાર્યક્રમમાં વાલીઓની ભાગીદારી વધે અને માતા-પિતા દ્વારા બાળકના ખોરાકનું ધ્યાન રાખી શકાય તે જરૂરી છે. સગર્ભા સ્ત્રીઓ, માતાઓ અને બાળકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે તે અત્યંત જરૂરી છે.
આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુનિયોજીત સંકલન થકી કાર્ય કરવામાં આવશે. પોષણ સંગમ એપ્લીકેશન થકી બાળકોને સમયસર પોષણ, કાળજી અને યોગ્ય સારવાર આપી શકાશે. એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર હીરાબહેન રાજશાખાએ શાબ્દિક પ્રવચન થકી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં બાલશક્તિ પૂરી, સક્કરપારા, સૂખડી, બટેટાવડા, ઉપમા સહિતની પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પોષણ સંગમ કાર્યક્રમમાં પોષણના વિવિધ તબક્કાઓ, કુપોષિત બાળકને ઓળખવું, તેની જરૂરિયાત સમજવી, સમયસર સારવાર અને પોષણ, કુપોષણ સામે પડકાર, પોષણ ટ્રેકરમાં નોંધ, અતિગંભીર કુપોષણની શ્રેણીમાં આવતા બાળકોની યાદી બનાવવી, તબીબી પરીક્ષણ, ભૂખ પરીક્ષણ, પોષણ-આરોગ્ય, શિક્ષણ અને સ્વચ્છતા જેવા આયામો વિશે સમજૂતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉના, તાલાલા, કોડિનાર, વેરાવળ, સુત્રાપાડા સી.ડી.પી.ઓ, ડારી સરપંચ, મુખ્ય સેવિકાઓ તથા આંગણવાડીના બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ