પાટણ, 4 જૂન (હિ.સ.)ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામમાં દશરથભાઈ ડાહ્યાભાઈ ચૌધરીએ વર્ષ 2020માં ભાથીભાઈ સાલુભાઈ પાસેથી જમીન ખરીદી હતી અને કબજા પાવતી પણ મેળવી હતી. દશરથભાઈ મહેસાણામાં રહેતા હોવાથી તેઓ ખેતી માટે ભાગિયાની મદદ લેતા હતા. પરંતુ માનસંગભાઈ સાલુભાઈ અને તેમના પુત્ર પ્રકાશભાઈએ ભાગિયાઓને હેરાન કરી ખેતરેથી ભગી મુક્યા હતા.
પછી દશરથભાઈએ બીજા ભાગિયાની મદદથી રાયડાનું વાવેતર કરાવ્યું હતું, જેને પિતા-પુત્રએ ખેતરમાંથી કાઢી નાખ્યું. આ બનાવ અંગે દશરથભાઈએ પાટણ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. કલેક્ટરે આરોપીઓને 15 દિવસમાં પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી હતી, પરંતુ તેઓ પુરાવા રજૂ કરી શક્યા નહીં.
અંતે પાટણ કલેક્ટરે ચાણસ્માના મામલતદારને જમીન ખાલી કરાવવાનો આદેશ આપ્યો. મામલતદારની નોટિસ હોવા છતાં પણ પિતા-પુત્રે કબજો ન છોડતા દશરથભાઈએ ચાણસ્મા પોલીસ મથકે માનસંગભાઈ અને પ્રકાશભાઈ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર