ગીર સોમનાથ 28 મે (હિ.સ.) રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરાની આગેવાની હેઠળ તા. ૨૨ મે-૨૦૨૫થી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પહેલા પ્રિ-ઈવેન્ટ યોજીને પ્લાસ્ટિક પ્રદૂષણ તેમજ પ્લાસ્ટિક ન વાપરવા અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ સફાઈ ઝૂંબેશ, પ્લાસ્ટિક એકત્રિકરણ ઝુંબેશ, વૉકેથોન, નૂક્કડ નાટક સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.
જે અંતર્ગત જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તીઓની કચેરી દ્વારા તાલાલા, કોડીનાર, સૂત્રાપાડા, ઉના સહિતના વિવિધ વિસ્તારોમાં નૂક્કડ નાટકોના માધ્યમથી પ્લાસ્ટિક નાબૂદી અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ નાટકો દ્વારા નાગરિકોને પ્લાસ્ટિક-મુક્ત જીવનશૈલી અને કચરા વ્યવસ્થાપનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
નૂક્કડ નાટકોના માધ્યમથી પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ સાથે જ કાપડની થેલીનું વિતરણ કરી અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી અને વિકલ્પ તરીકે કાપડની થેલી વાપરવાની અપીલ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, પ્લાસ્ટિક જપ્ત કરી અને દંડ લાદવો, ઉદ્યોગોમાં વૃક્ષારોપણ, પ્રતિજ્ઞા સમારોહ અને પ્લાસ્ટિક સંગ્રહ, રેલીઓનું આયોજન, નાગરિકોને કાપડની થેલીઓનું વિતરણ વગેરે પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પ્લાસ્ટિક પ્રદૂષણની અસર અંગે જનજાગૃતિ લાવવા અને સંતુલિત વિકલ્પોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ