ગીર સોમનાથ, 28 મે (હિ.સ.) વેરાવળ તાલુકાના પંડવા પી.એચ.સી. ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર દરમિયાન વેરાવળ સિવિલ હોસ્પિટલના સ્ત્રીરોગ તજજ્ઞ ડો.નગ્મા દ્વારા સગર્ભા મહિલાઓની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી હતી.
આ કેમ્પમાં આસપાસના ઈન્દ્રોઈ, કોડિદ્રા, ગુણવંતપુર, કુકરાશ, બોળાશ, ઈશ્વરિયા, રામપરા, ભેટાળી, નાખડાં, ખંઢેરી, માથાસુરિયા, લૂંભા સહિત ૧૫ ગામોમાંથી આશરે ૮૪ સગર્ભા મહિલાઓની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી હતી.
ડોક્ટર્સ દ્વારા સગર્ભા મહિલાઓને સંપૂર્ણ એએનસી ચેકઅપ, લોહીની તપાસો, રૂટિન ઇતિહાસ લઈ લેવામાં આવ્યો, જરૂરી દવાઓના વિતરણની સાથે જ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ આયોજનનું મુખ્ય ઉદ્દેશ સગર્ભાવસ્થાની યોગ્ય સંભાળ અને સુરક્ષિત માતૃત્વ પ્રોત્સાહિત કરવું છે.
પંડવા પી.એચ.સી.ની ટીમે ડૉ.નગ્મા અને વેરાવળ સિવિલ હોસ્પિટલનો તેમજ ૧૦૮ ખીલખીલાટ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ