ગાંધીનગર, 28 મે (હિ.સ.) : ભારતીય સ્વાતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના લડવૈયા અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની 142મી જન્મજયંતી નિમિત્તે, ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે પણ તૈલચિત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકરે પોતાનું સંપૂર્ણ જીવન દેશ અને રાષ્ટ્ર સેવાને આપ્યું છે. તેમણે ઈંગ્લેન્ડમાં ફ્રી ઇન્ડિયા સોસાયટી નામની સંસ્થા સ્થાપી, દેશની આઝાદી માટે ક્રાંતિકારી ચળવળ શરૂ કરી હતી. બ્રિટીશ સરકારે સરકાર વિરુદ્ધ કાવતરાના કેસમાં તેમની ધરપકડ કરીને 50 વર્ષની કેદની સજા કરી હતી. વીર સાવરકરે ભારત દેશને અખંડીત રાખવા અને આઝાદી અપાવવા અથાક પ્રયત્નો કર્યા હતા, જેને દેશ ક્યારેય ભૂલશે નહીં.
વિધાનસભાના અધ્યક્ષ ચૌધરીએ અંદમાન નિકોબાર ખાતે આવેલી સેલ્યુલર જેલની તેમની મુલાકત સમયના પ્રસંગો યાદ કરી તમામે એક વાર આ જેલની અવશ્ય મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત વિધાનસભાના ઈન્ચાર્જ સચિવ ચેતન પંડ્યા સહિતના ગુજરાત વિધાનસભાના અધિકારી- કર્મચારીઓએ પણ તૈલચિત્રને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ