સુરત, 29 મે (હિ.સ.)-સુરતના ઉધના વિસ્તારમાં એક હૃદયવિદારી ઘટના બની, જેમાં સુરત મહાનગરપાલિકાની કચરાની ગાડીએ અડફેટે લેતાં 13 વર્ષના કાર્તિક અનિલ મોહિતેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું. ધોરણ ૮માં અભ્યાસ કરતો કાર્તિક પરિવારનો એકમાત્ર દીકરો હતો, જેના અકાળ મૃત્યુએ પરિવાર પર શોકનું ગાઢ વાદળ છાઈ ગયું છે.
ઘટનાની વિગતો મુજબ, રાત્રિના સમયે કાર્તિક તેની બે બહેનો સાથે ઘરના બહાર નીકળ્યો હતો ત્યારે અચાનક જ પુરઝડપે આવી રહેલી કચરાની ગાડી તેની ઉપર ફરી વળી. ગંભીર ઈજાઓને કારણે કાર્તિકનો ઘટનાસ્થળે જ કરૂણ અંત આવ્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તુરંત સ્થળ પર પહોંચી અને કાર્તિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો. ગાડીના ડ્રાઈવર વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી છે.
કાર્તિકના પિતા અનિલ મોહિતે શ્રમજીવી છે અને પરિવાર પોતાના પુત્રના ભવિષ્ય માટે અનેક આશાઓ પોષી રહ્યો હતો. બાળકના મૃત્યુથી પરિવાર પર આઘાતક દુઃખ છવાઈ ગયું છે. સ્થાનિક રહેવાસીઓમાં પણ ગુસ્સો જોવા મળ્યો છે અને તેઓએ રોડ સલામતી માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી છે. ખાસ કરીને મ્યુનિસિપલ વાહન ચાલકો માટે તાલીમ, ઓછી ઝડપ અને સુરક્ષાના નિયમોનું પાલન કરાવવાનો જોરશોરથી આગ્રહ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે