ચોમાસા પૂર્વે આગોતરા આયોજન થકી સજ્જ બનતું, વહીવટી તંત્ર જિલ્લા તથા તાલુકા કક્ષાએ ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ કાર્યરત
ગીર સોમનાથ 29 મે (હિ.સ.) વર્ષ-૨૦૨૫ના ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે નગરપાલિકા, પી.જી.વી.સી.એલ, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિવિધ વિભાગો સાથેના સંકલન થકી ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર આગોતરા આયોજન થકી સજ્જ બન્યું છે. કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે પ્રાંત
ચોમાસા પૂર્વે આગોતરા આયોજન થકી સજ્જ બનતું, વહીવટી તંત્ર જિલ્લા તથા તાલુકા કક્ષાએ ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ કાર્યરત


ગીર સોમનાથ 29 મે (હિ.સ.) વર્ષ-૨૦૨૫ના ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે નગરપાલિકા, પી.જી.વી.સી.એલ, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિવિધ વિભાગો સાથેના સંકલન થકી ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર આગોતરા આયોજન થકી સજ્જ બન્યું છે.

કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે પ્રાંત ઓફિસ ખાતે પત્રકારઓને આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લાના દરેક તાલુકા દીઠ વર્ગ -૧ કક્ષાના અધિકારીની લાઇઝન તરીકે નિમણૂક કરી જવાબદારીઓ સોંપવામાં આવી છે. જિલ્લા તથા તાલુકા કક્ષાએ ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે. તેમજ જિલ્લામાં તમામ અધિકારી, કર્મચારીઓને હેડક્વાર્ટર સતત પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં આવેલી જર્જરીત ખાનગી તેમજ જાહેર ઇમારતો, શાળાઓ, આંગણવાડીઓ, આરોગ્યકેન્દ્રો, વગેરેની ખરાઈ કરી, જોખમરૂપ બાંધકામો, બેનરો, હોર્ડીગ્સ વગેરે તાત્કાલિક અસરથી હટાવી લેવા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ નગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત વગેરેને વહીવટી તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.

સંભવિત વરસાદ, વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા અને લોકોને સાવચેત કરવા સંવેદનશીલ વિસ્તારોમાં સાયરન લગાડવામાં આવ્યાં છે. જેથી આફતભરી પરિસ્થિતિનું નિર્માણ થાય તો સત્વરે નાગરિકોને ચેતવણી આપી શકાય.

વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઈ હવે પછીથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તેમજ તે અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે તથા કોઈ દુર્ઘટના ન સર્જાય કે જાનહાની અને માલહાની ન થાય તે માટે માછીમારો અને બોટોને તાત્કાલિક અસરથી પરત બોલાવવામાં આવ્યા છે.

ચોમાસા દરમિયાન સર્જાતી વીજળીની સમસ્યાઓને ધ્યાને લઈ પૂર્વ તૈયારીના ભાગરૂપે અગાઉથી જ સમગ્ર જિલ્લામાં આવેલ જર્જરીત ઇલેક્ટ્રિક પોલ, ટીસી, વીજ વાયરો રીપેર કરવા પીજીવીસીએલ વિભાગને સૂચના આપવામાં આવી છે.

કુદરતી આફતને પહોંચી વળવા માટે જિલ્લાના તમામ આશ્રય સ્થાનોની ચકાસણી કરી, જીવન જરૂરીયાતની પ્રાથમિક સુવિધાઓ જેવી કે વીજળી, પાણી, સાફ સફાઇ વગેરે ઉપલબ્ધ કરાવવા સબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી.

ચોમાસા દરમિયાન સામાન્ય રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉદભવે છે. જેના નિરાકરણ માટે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, પંચાયત હસ્તકના જિલ્લા/તાલુકા કક્ષાના માર્ગોની બન્ને બાજુએ પાણીના નિકાલ માટેની ગટરોની સાફ સફાઇ તથા ઊંડી કરવા બાબતે તેમજ તળાવો, હોકળા, પાણીના વહેણ વગેરેની સાફ સફાઇ માટે સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યમાં તાજેતરમાં કોરોનાના વધેલા કેસને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય તંત્રની ટીમને સાબદી કરવામાં આવી છે અને ઓક્સિજન સાથેના આઈસોલેશન વોર્ડ પણ તૈયાર રાખવામાં આવ્યા છે. જેથી આકસ્મિક પરિસ્થિતિમાં તેને પહોંચી વળી શકાય. તેમ કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું.

આ રીતે સમગ્રતયાં વિવિધ વિભાગોના સંકલન થકી, ચોમાસામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande