જુનાગઢ 30 મે (હિ.સ.), ભારતના ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી- ૨૦૨૫ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે. જે અનુસાર જૂનાગઢ જિલ્લામાં ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાનાર છે.
પ્રવર્તમાન ચૂંટણી દરમિયાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ટેકેદારો તરફથી ઈલેક્ટ્રોનીક મીડીયા માધ્યમથી પ્રસારણ સ્થાનિક કન્ટ્રોલ રૂમથી તથા ટીવી ચેનલના રાજય, આંતર રાજય કે આંતર રાષ્ટ્રીય તેમજ AM અને FM રેડીયો નેટવર્ક, સિનેમા ગૃહો વગેરેથી કરવામાં આવે છે.
ભારતના ચૂંટણી પંચે ઉપરોકત ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજી શકાય, ચૂંટણી પંચે જાહેર કરેલી આદર્શ આચાર સંહિતાની અમલવારી સુનિશ્ચિત કરી શકાય, ચૂંટણી પ્રચાર સમયગાળા દરમિયાન હરીફ ઉમેદવારો, રાજકીય પક્ષો, સામાન્ય નાગરિકો તરફથી આચાર સંહિતાનો ભંગ થયાની ફરીયાદો મળતી રહે છે.
આવી ફરિયાદોમાં તથ્ય છે કે કેમ ? તે ચકાસી શકાય તથા આદર્શ આચાર સંહિતાનું કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ- ૧૯૫૧ ની કોઈ કલમોનો કે અત્રેથી બહાર પાડવામાં આવેલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ ની કલમ- ૧૬૩ હેઠળના જાહેરનામાનો ભંગ થયેલ છે કે કેમ ? તે ચકાસીને જો ભંગ થયાનું જણાય તો તાકીદના ધોરણે સંબંધિતો સામે યોગ્ય પગલા લઈ શકાય તે માટે અત્રે જણાવેલી તમામ વિગતો અંગે આદેશ કરવો જરૂરી જણાય છે.
જેને ધ્યાનમાં રાખતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અનિલ રાણાવસિયા, જૂનાગઢ જિલ્લો દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, સ્થાનિક કેબલ નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમા ગૃહો વગેરે દ્વારા ઈલેક્ટ્રોનિક પ્રસાર માધ્યમ તરીકે તેઓ તરફથી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પુરી થતાં સુધીના સમયગાળા દરમિયાન પ્રત્યેક દિવસે સવારના ૦૬:૦૦ કલાકથી બીજા દિવસના સવારના ૦૬:૦૦ કલાક સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી પૂરા થતાં ચોવીસ કલાકના સમયગાળા બાદ તુરંત જ સવારના ૧૦:૩૦ કલાક સુધીમાં જિલ્લા કક્ષાની મીડીયા સર્ટિફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટીના સભ્ય સચિવશ્રી અને નાયબ માહિતી નિયામકશ્રી, સરદારબાગ, જૂનાગઢની કચેરી ખાતે રૂબરૂ પહોંચાડવાની રહેશે.
આ સીડી પહોંચાડયા બદલ પહોંચ મેળવીને પોતાના રેકર્ડમાં જાળવવાની રહેશે. જરૂરિયાતના પ્રસંગે ૨૪ કલાક પુરા થતાં પહેલા પણ કરવામાં આવેલા પ્રસારણની સીડી માંગવામાં આવે તો તે પણ રજૂ કરવાની રહેશે.
નાયબ માહિતી નિયામકશ્રી, આદર્શ આચાર સંહિતાની અમલવારી અર્થે નિયુકત નોડલ અધિકારીશ્રી તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીએ પણ જરૂરિયાતના કિસ્સામાં અમલવારી માટે તાકીદે કાર્યવાહી કરવી.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનારી વ્યક્તિ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ- ૧૯૫૧ ની કલમની જોગવાઈ મુજબ તથા ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ- ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ ૮૭- વિસાવદર વિઘાનસભા મત વિસ્તારમાં હુકમની તારીખથી અમલમાં આવશે અને તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ