મોડાસા, 30 મે (હિ.સ.) સાબરકાંઠા નાયબ બાગાયત નિયામક ની કચેરી દ્વારા હિંમતનગર ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં હિંમતનગર નગરપાલીકા વિસ્તારમાંથી ૫૯ જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.
તાલીમમાં બાગાયત અધિકારી વાય.એમ.દેસાઇ દ્વારા બાગાયત ખાતાના “ગ્રો મોર ફ્રૂટ ક્રોપ” અભિયાન વિશેની માહિતી આપવામાં આવી. ત્યારબાદ નાયબ બાગાયત નિયામક ડી. એમ.પટેલ દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ તથા કિચન ગાર્ડનનું મહત્વ અને તેના ફાયદા, ઘર આંગણે કિચન ગાર્ડનમાં ઉગાડી શકાય તેવા વિવિધ પાકો, તેમાં ઉપયોગી વિવિધ મીડિયા તથા સાધનો વિષે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી. બાગાયત અધિકારીશ્રી એસ.કે.ચૌધરી દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિષે માહિતી આપવામાં આવી હતી. મદદનીશ બાગાયત નિયામક જે.એમ.પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ બાગાયત મદદનીશ એન.આર.પટેલ દ્વારા ફળ અને શાકભાજીની વિવિધ મુલ્યવર્ધન બનાવટો વિષે માહીતી આપવામાં આવી હતી. અંતે તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ તાલીમમાં બાગાયત વિભાગ સ્ટાફ તેમજ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ