ગાંધીનગર, 1 જૂન (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાના એરફોર્સ કેમ્પસ, વાયુશક્તિ નગર, ચિલોડા ખાતે હવાઈ હુમલો થયો હતો. સાંજના પાંચ વાગ્યાના અરસામાં જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે ફોન મારફત વાયુ શક્તિનગર પર હવાઈ હુમલો થવાના કારણે કોલાપ્સ થયા અંગે જાણકારી મળી હતી. જેના પગલે સાઇરન વગાડીને હવાઈ હુમલો (એર અટેક) થવા અંગે જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી. સાઇરનનો સંકેત મળતાની સાથે નાગરિકો નજીકના સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા.
જિલ્લામાં ચિલોડા ખાતે આવેલા વાયુશક્તિનગર પર એર રેડ/હવાઈ હુમલો અંગે જાણકારી મળતા સમગ્ર ગાંધીનગર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. જિલ્લા કલેક્ટર મેહુલ કે. દવે જિલ્લા વિકાસ અધિકારી બી.જે પટેલ, પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી, નિવાસી અધિક કલેકટર આર.એન શર્મા તથા ડેપ્યુટી કલેક્ટર અર્જુનસિંહ વણજારા, પ્રાંત ગાંધીનગર પાર્થ કોટડીયા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પદ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.
ગણતરીની મીનીટમાં જ ફાયટરની ટીમો, તથા, સિવિલ ડિફેન્સની ટીમો, એમ્બ્યુલન્સ, વાયુશક્તિનગર ખાતે આવી પહોંચી હતી. જિલ્લા વહીવટી તંત્રની વિવિધ ટીમો અને આપદામિત્રોની મદદથી મકાનમાં હાજર નાગરિકોને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઇમર્જન્સીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા કન્ટીજન્સી હોસ્પિટલ તરીકે એરફોર્સ કેમ્પસ હોસ્પિટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 10 ઘાયલ વ્યક્તિઓને એડમિટ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત એરફોર્સ સ્કુલ ખાતે રેસ્ક્યુ કરાયેલા 157 જેટલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 30 નાગરિકો ઘવાયા હતા, જેમાં 10 ની હાલત વધુ ગંભીર જણા હતા ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં 30 બોટલ બ્લડની જરૂરત પડતા સિવિલ તંત્ર દ્વારા તાત્કાલિક પણે બ્લડની જરૂરિયાત પૂરી કરવામાં આવી હતી. રેસ્ક્યુ કરી લેવાયેલા 15લોકો માટે આશ્રયસ્થાને મેડિકલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી.
નોંધનિય છે કે, ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજરોજ સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે ગાંધીનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓપરેશન અભ્યાસના ભાગરૂપે ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ યોજાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, આ મોકડ્રીલમાં ઉપસ્થિત જિલ્લા કલેકટર ગાંધીનગર મેહુલ કે.દવે એ જણાવ્યું હતું કે, પ્રેક્ટિસ એટલે કે ગહન અભ્યાસ દ્વારા જ કોઈપણ વસ્તુમાં પરેફકશન લાવી શકાય છે. એટલે જ્યારે પણ કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય ત્યારે વારંવાર યોજેલી મોકડ્રીલ થકી લીધેલી તાલીમ ઓછામાં ઓછા નુકશાન સાથે મદદગાર બનશે.
આ સાથે જ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ મોકડ્રીલ દરમિયાન બચાવ કામગીરીમાં જોડાયેલી તમામ ટીમોને અભિનંદન પાઠવતા જણાવાયું હતું કે, વારંવાર મોગરેલ નહીં કરીએ તો કોઈપણ કઠિન પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ નહીં બની શકીએ, માટે આ એક્સરસાઇઝ ખુબજ જરૂરી છે.
વધુમાં ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવાના આશય સાથે સુરક્ષા તાલીમના ભાગરૂપે બીજા તબક્કામાં લેકાવાડા ખાતે રાત્રે 08:00 થી 08:30 કલાક સુધી નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધારપટ (બ્લેક આઉટ) કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ